ઈરાન-US શાંતિ વાર્તાલાપ કેમ નિષ્ફળ રહી?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈસ્લામાબાદમાં કઈ ૪ શરતો પર પેચ ફસાયો?

ઈરાન અને અમેરિકા વચ્ચે ૨૧ કલાક લાંબી મેરેથોન શાંતિ વાર્તા ચાલી પરંતુ કોઈ પરિણામ વગર જ સમાપ્ત

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ છે. ૧૫ થી ૨૧ કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં, બંને પક્ષો પોતપોતાની રેડ લાઈન્સ પર અડગ રહ્યા, જેના કારણે કોઈ કરાર થઈ શક્યો નહીં.

રવિવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે સ્પષ્ટપણે કહ્યું, અમે ૨૧ કલાક સુધી સતત વાત કરતા રહ્યા, પરંતુ ઈરાને અમારી પ્રસ્તાવિત શરતો સ્વીકારી નહીં. ઈરાની મીડિયા તસ્નીમ અને મેહરે પણ પુષ્ટિ કરી કે વાટાઘાટોનો પ્રથમ દિવસ કોઈ પરિણામ વિના સમાપ્ત થયો. બીજા રાઉન્ડની અપેક્ષા હતી, પરંતુ વાટાઘાટો તૂટી ગઈ.

યુદ્ધ દરમિયાન ઈરાને આ જળમાર્ગ બંધ કર્યો હતો

૧. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણ: સૌથી મોટો વિવાદ :- ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકાની માંગ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોઈપણ શરત વગર સંપૂર્ણ રીતે ખુલ્લું રહેવું જોઈએ. ત્યાં કોઈ ફી કે ટોલ વસૂલવામાં ન આવે અને આંતરરાષ્ટ્રીય જહાજોને અવરજવરની સંપૂર્ણ સ્વતંત્રતા મળે. બીજી તરફ, ઈરાન પોતાનું નિયંત્રણ જાળવી રાખવા અથવા આંશિક અધિકારોની માન્યતા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધ દરમિયાન ઈરાને આ જળમાર્ગ બંધ કર્યો હતો, જેનાથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ ૨૦% હિસ્સો પ્રભાવિત થયો હતો.

૨. લેબેનોનમાં સીઝફાયર અંગે મડાગાંઠ :- ઈરાને લેબેનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) ને વાતચીતની પૂર્વ-શરત બનાવી હતી. અમેરિકા અને ઈઝરાયેલે આ શરતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જેડી વેન્સે આને રીઝનેબલ મિસઅંડરસ્ટેન્ડિંગ ગણાવી હતી, પરંતુ ઈરાન આ મુદ્દે નમતું જોખવા તૈયાર ન થયું. હાલમાં ઈઝરાયેલ લેબેનોનમાં તેના હુમલા ચાલુ રાખી રહ્યું છે.

૩. સેન્ક્શન્સ (પ્રતિબંધો), બ્લોક્ડ એસેટ્સ અને ન્યુક્લિયર કાર્યક્રમ :- ઈરાનની મુખ્ય માંગ હતી કે તેની વિદેશમાં ફ્રીઝ કરાયેલી સંપત્તિ (બ્લોક્ડ એસેટ્સ) મુક્ત કરવામાં આવે, આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને તેને ન્યુક્લિયર એનરિચમેન્ટ (પરમાણુ સંવર્ધન) નો અધિકાર આપવામાં આવે. અમેરિકાએ પરમાણુ હથિયારોની ક્ષમતા સાથે જોડાયેલી કોઈપણ રાહ આપવાની ના પાડી દીધી હતી. યુએસ દ્વારા આપવામાં આવેલા ૧૫-પોઈન્ટના પ્રસ્તાવને ઈરાને અતિશય લોભી ગણાવ્યો હતો.

૪. અન્ય શરતો :- ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાન માટે વળતર અને સમગ્ર પ્રદેશમાં વ્યાપક સીઝફાયરની માંગ પણ કરી હતી, જેને અમેરિકાએ ફગાવી દીધી હતી. વાર્તા શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ” કોઈ સોદો નહીં થાય, તો અમે ફરીથી હુમલાઓ શરૂ કરીશું.

અમારા યુદ્ધ જહાજોને શ્રેષ્ઠ શસ્ત્રોથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.” ટ્રમ્પે કહ્યું, “ઈરાન પાસે હોર્મુઝથી ટૂંકા ગાળાના પાછા ખેંચવા સિવાય કોઈ પત્તો બાકી નથી.” વાટાઘાટો નિષ્ફળ ગયા પછી, ટ્રમ્પે કહ્યું, “કંઈ વાંધો નહીં, આપણે જીતી ગયા છીએ. ઈરાન સંપૂર્ણપણે હાર્યું છે. કોઈ ડીલ થાય કે ન થાય, તેનાથી કોઈ ફરક પડતો નથી.” જેડી વાન્સે એમ પણ કહ્યું કે અમેરિકા કોઈ ડીલ વગર પરત ફરી રહ્યું છે.

૧૨ એપ્રિલની સવાર સુધીમાં તાત્કાલિક કોઈ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી નથી. બંને પક્ષો વચ્ચે બે અઠવાડિયાનો નાજુક સીઝફાયર હજુ પણ લાગુ છે.

ટ્રમ્પના અભિગમને જોતાં અમેરિકા હવે દબાણ વધારી શકે છે – કદાચ નૌકાદળના ઓપરેશન દ્વારા અથવા લક્ષિત હુમલાઓ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે સાફ કરવા માટે. અમેરિકાનું કહેવું છે કે તેની પાસે મજબૂત લશ્કરી સ્થિતિ છે, તેથી કોઈ બેકઅપ પ્લાનની જરૂર નથી. ઈરાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેની શરતો સાથે સંમત નહીં થાય, તો ઈંટનો જવાબ પથ્થરથી અપાશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.