આટલી મોટી સંખ્યામાં લોકો કેમ છોડી રહ્યા છે ભારત ?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૨૦૨૪માં કુલ ૨,૦૬,૩૭૮ ઈન્ડિયન્સે સિટીઝનશિપ છોડી હતી

ભારતીયોનુ વિદેશમાં જઇ વસવાનુ પ્રમાણ વધ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

એક તરફ દેશના નેતાઓ ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ વર્ષે દર વર્ષે મોટી સંખ્યામાં ઈન્ડિયન્સ સિટીઝનશિપ છોડી રહ્યા છે, ૨૦૨૪માં જ વિદેશમાં વસી ગયેલા ૨,૦૬,૩૭૮ ઈન્ડિયન્સે પોતાના પાસપોર્ટ સરેન્ડર કરાવી દીધા હોવાનું વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધન સિંહે લોકસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું છે.

કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સિટીઝનશિપ છોડનારા ઈન્ડિયન્સની સંખ્યા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ૨૦૨૦માં ૮૫,૨૫૬, ૨૦૨૧માં ૧,૬૩,૩૭૦, ૨૦૨૨માં ૨,૨૫,૬૨૦, ૨૦૨૩માં ૨,૧૬,૨૧૯ અને ૨૦૨૪માં કુલ ૨,૦૬,૩૭૮ ઈન્ડિયન્સે સિટીઝનશિપ છોડી હતી.

વિદેશમાં હવે સેટલ થવુ એ પહેલા જેવુ આસાન નહીં

વિદેશ મંત્રાલય દ્વારા ૨૦૧૧થી ૨૦૧૪ના આંકડા પણ આપવામાં આવ્યા હતા, આ આંકડા અનુસાર ૨૦૧૧માં ૧,૨૨,૮૧૯, ૨૦૧૨માં ૧,૨૦,૯૨૩, ૨૦૧૩માં ૧,૩૧,૪૦૫ અને ૨૦૨૪માં ૧,૨૯,૩૨૮ ઈન્ડિયન્સે પોતાની સિટીઝનશિપ છોડી હતી. સરકારનું એમ પણ કહેવું હતું કે ઈન્ડિયન સિટીઝનશિપ છોડવાના કારણ અંગત હોય છે અને જે-તે વ્યક્તિ જ તેનો સાચો જવાબ આપી શકે.

સરકારે આપેલા આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ૮,૯૬,૮૪૩ ઈન્ડિયન્સ હવે પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન બની ચૂક્યા છે, જો ૨૦૨૦માં કોવિડ પેન્ડેમિકને કારણે ઈન્ટરનેશનલ ટ્રાવેલ પર નિયંત્રણો ના મૂકાયા હોત તો કદાચ આ આંકડો ૧૧ લાખને પાર પહોંચી ગયો હોત. તેવી જ રીતે ૨૦૧૧થી ૨૦૧૪ના ગાળામાં ૫,૦૪,૪૭૫ ઈન્ડિયન્સે દેશ છોડ્યો હતો.

વિદેશ મંત્રાલયના આંકડા એવું પણ દર્શાવી રહ્યા છે કે ઈન્ડિયન્સનું કાયમ માટે વિદેશમાં વસી જવાનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ દુનિયાના અલગ-અલગ દેશોમાં વસતા ભારતીય મૂળના લોકોની ગવર્મેન્ટના રેકોર્ડ અનુસાર કુલ સંખ્યા ૩,૪૩,૫૬,૧૯૩ થાય છે જેમાંથી ૧,૭૧,૮૧,૦૭૧ ઈન્ડિયન સિટીઝનશિપ છોડી ચૂકેલા PIO એટલે કે પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન છે જ્યારે બાકીના ૧,૭૧,૭૫,૧૨૨ નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ છે, મતલબ કે આ લોકો ભણવા કે પછી કામકાજ માટે વિદેશમાં વસવાટ કરે છે પરંતુ હાલ પણ ઈન્ડિયન પાસપોર્ટ ધરાવે છે. જોકે, વિદેશી નાગરિક બની ચૂકેલા અને ત્યાં રહેતા લોકોનો આંકડો લગભગ સરખો થાય છે અને જે લોકો હાલ NRI છે તેમાંના પણ મોટાભાગના આગામી દિવસોમાં PIO બની શકે છે.

જોકે, આ આંકડો સરકારના ચોપડે નોંધાયેલો છે, જે ઈન્ડિયન્સ કોઈ સ્ટેટસ વિના અમેરિકા જેવા દેશમાં રહે છે તેમની સંખ્યા પણ લાખોમાં થાય છે અને તેમને સરકાર કઈ કેટેગરીમાં મૂકે છે કે પછી તેમને આવી કોઈ ગણતરીમાં લે પણ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. મહત્વની વાત એ પણ છે કે આવા લોકોને જ્યારે ડિપોર્ટ કરવાની પ્રોસેસ શરૂ થાય ત્યારે તેમના વિદેશમાં હોવાની સરકારને જાણ થતી હોય છે.

એવું નથી કે માત્ર ઈન્ડિયાથી જ દર વર્ષે લાખો લોકો સિટીઝનશિપ છોડે છે, ઈન્ડિયાની જેમ વધુ વસ્તી ધરાવતા મોટાભાગના દેશોમાં આ જ ટ્રેન્ડ જોવા મળે છે. પોતાનો દેશ છોડીને વિદેશ વસી જવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે પરંતુ સૌથી મુખ્ય કારણ આર્થિક બાબતો સાથે સંકળાયેલું હોય છે, આ ઉપરાંત ક્વૉલિટી લાઈફ તેમજ વર્ક-લાઈફ બેલેન્સ માટે પણ લોકો વિદેશમાં શિફ્ટ થઈ જવાનું પસંદ કરતા હોય છે.

તો બીજી તરફ, અમેરિકા જેવા દેશમાં લાખો ઈન્ડિયન્સ ઈન્ડિયામાં પોતાના જીવને જાેખમ હોવાનો દાવો કરી અસાયલમ માગ્યા બાદ ગમે તે રીતે ગ્રીન કાર્ડ લેવાની ફિરાકમાં છે. ઈન્ડિયાથી જે દર વર્ષે લાખો સ્ટૂડન્ટ્સ ભણવા માટે વિદેશ જાય છે તેમનો પોતાનો અને તેમને મોકલનારા મા-બાપનો ગોલ પણ સંતાનને વિદેશમાં જ સેટ કરવાનો હોય છે અને મા-બાપ એવી આશા રાખતા હોય છે કે દીકરો કે દીકરી વિદેશમાં સેટ થશે એટલે પોતાને પણ ત્યાં બોલાવી લેશે.

ઈન્ડિયામાં સ્કૂલથી લઈને કોલેજ સુધી લાખો રૂપિયા ખર્ચીને ભણ્યા બાદ પણ ક્વોલિટી જાેબ મળવાની કોઈ ગેરંટી ના હોવાથી મા-બાપને અને તેમના સંતાનોને એવું હોય છે કે વિદેશમાં કંઈ નહીં તો પોતાનો એક નાનકડો સ્ટોર કરી લઈશું તો પણ જિંદગી આરામથી નીકળી જશે જ્યારે ઈન્ડિયામાં જીવીશું ત્યાં સુધી લોહી ઉકાળા જ કરવા પડશે.

જોકે, હવે વિદેશ જવાનું, ત્યાં સેટલ થવાનું તેમજ પરમેનન્ટ સ્ટેટસ અને પછી સિટીઝનશિપ લેવાનું હવે પહેલા જેવું આસાન નથી રહ્યું. જે ઈન્ડિયન્સ ૨૦૨૪માં જે-તે દેશના સિટીઝન થયા છે તેમાંના મોટાભાગના તે દેશમાં ઓછામાં ઓછામાં પાંચ વર્ષથી રહેતા હશે અને શક્ય છે કે સ્ટૂડન્ટ વિઝા પર જ ગયા હશે.

પણ હવે એક પછી એક દેશો ઈમિગ્રન્ટ્સ માટે પોતાના દરવાજા બંધ કરી રહ્યા છે જેમાં અમેરિકા અને કેનેડા ટોપ પર છે જ્ચારે ત્યારબાદ યુકે અને ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે, આ ચાર દેશોમાં જ ઈન્ડિયન્સ સૌથી વધારે સંખ્યામાં રહે પણ છે.

ટ્રમ્પના આવ્યા બાદ સ્ટૂડન્ટ વિઝા લેવાના ફાંફા પડી જતાં હજારો ઈન્ડિયન પેરેન્ટ્સને પોતાના સંતાનનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું હોવાની લાગણી થઈ રહી છ.

સ્ટૂડન્ટ્સને દેશમાં જ નોકરી મળી રહે તે માટે સરકાર શું કરી રહી છે તેની ચિંતા કરવાને બદલે મા-બાપ પોતાના દીકરા-દીકરીને અમેરિકા મોકલવાનો મેળ કઈ રીતે પડી શકે તેની વધારે ચિંતા કરી રહ્યા છે, કારણકે તેમને ડર છે કે જો અમેરિકા કે બીજા કોઈ દેશમાં જવા ના મળ્યું તો પોતાનું સંતાન ઈન્ડિયામાં કરશે શું?

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.