Last Updated on by Sampurna Samachar
દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CIC નો આદેશ
કોર્ટે ચૂકાદાને અનામત રાખ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવા બાબતે કેન્દ્રીય માહિતી આયોગનો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર ૨૭ ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદાને અનામત રાખ્યો છે. વિગતવાર ચુકાદો હજી જાહેર થયો નથી.

સીઆઈસીએ ૨૦૧૬માં આરટીઆઈ કાર્યકર નીરજ કુમાર, મોહમ્મદ ઈર્શાદ સહિત આરટીઆઈના વિવિધ અરજદારોને દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષ ૧૯૭૮ દરમિયાન અભ્યાસ કરી ચૂકેલા બેચલર ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓની માહિતીનું નિરીક્ષણ કરવા મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ બેન્ચમાં બીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સીઆઈસીના આ આદેશને દિલ્હી યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ હાઈકોર્ટે સીઆઈસીના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
વિદ્યાર્થીની ડિગ્રી સંબંધિત માહિતી રાખતી નથી
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટી તરફથી દલીલ કરી હતી કે, યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓની ડિગ્રી, માર્ક, ઉત્તરવહીઓ સહિતની શૈક્ષણિક વિગતો કાયદા અને નીતિમત્તાના વિશ્વાસ સાથે પોતાની પાસે રેકોર્ડમાં રાખે છે. જેને ત્રીજા પક્ષની જિજ્ઞાસાના આધારે આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર કરી શકાય નહીં. જેમાં આરટીઆઈ એક્ટ હેઠળ કોઈ જાહેર હિત પણ નથી. જ્યારે કલમ ૮ (૧) (ઈ) અને (જે) હેઠળ આ પ્રકારની વિગતોમાં જાહેર હિત ન હોય તો તેને જાહેર કરવામાંથી મુક્તિ મળે છે.
આરટીઆઈના અરજદારો તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને શાદાન ફરાસત દ્વારા દલીલ કરવામાં આવી હતી કે વ્યક્તિના પરિણામ સંબંધિત માહિતી જાહેર કરવાથી જાહેર હિત થાય છે અને યુનિવર્સિટીઓ ‘વિશ્વાસુ ક્ષમતા‘માં વિદ્યાર્થીની ડિગ્રી સંબંધિત માહિતી રાખતી નથી. હેગડેએ કહ્યું કે ‘ચૂંટાયેલા કાર્યાલયો‘ મતદારોને ર્નિણય લેવા સક્ષમ બનાવવા નેતા-ઉમેદવારોની સંપત્તિ જેવી ઘણી માહિતી જાહેર કરવાની તરફેણ કરે છે અને શૈક્ષણિક લાયકાત પણ તે જ શ્રેણીમાં આવે છે. આદેશ કાયદા હેઠળ સંપૂર્ણ રીતે સમાવિષ્ટ હતો અને તે ભૂલભરેલો નહોતો.