Last Updated on by Sampurna Samachar
બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવેદન
ચૂંટણીમાં હજુ ઘણો સમય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં ચાલી રહેલી રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા‘ નવાદા પહોંચી ગઈ હતી. આ દરમિયાન RJD ના નેતા તેજસ્વી યાદવ પણ સતત તેમની સાથે છે. એવામાં તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું કે, ‘આવનારી લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનની સરકાર બનાવો અને જલદી જ રાહુલ ગાંધીને દેશના આગામી વડાપ્રધાન બનાવીશું.‘ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે અને બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને પંચને નિશાન બનાવી રહ્યા છે.
નવાદામાં વોટર અધિકાર યાત્રાને સંબોધિત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘ભાજપ લોકો પાસેથી વોટનો અધિકાર છીનવી લેવા માંગે છે. ચૂંટણી પંચ અને ભાજપના લોકો વિચારે છે કે બિહારના લોકોને ચૂનો લગાવી દેશે. અમે બિહારી છીએ, એક બિહારી સબ પર ભારી, છે. ચૂનો તો અમે તમાકુમાં રગડીને ફેંકી દઈએ છીએ.
‘વોટ ચોરી‘ પર કડક કાર્યવાહી કરવામાં આવશે
તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે, ‘બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બેભાન અવસ્થામાં છે. આ વખતે ૨૦ વર્ષ જૂની ખટારા સરકારને ઉખાડી ફેંકવાની છે. કોઈપણ જાતિ ધર્મના ભાઈઓ હોય, તેજસ્વી બધાને સાથે લઈને ચાલશે. અમે નવા જમાનાના લોકો છીએ, બિહાર સૌથી યુવા પ્રદેશ છે, આ સરકાર આપણા યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કામ કરી રહી છે.
તેજસ્વી યાદવના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A ગઠબંધન તરફથી રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે છે. જોકે, તેને લઈને હાલ કંઈપણ કહેવું જલ્દી થઈ જશે, કારણ કે ચૂંટણીમાં હજુ ઘણો સમય છે અને ત્યાં સુધી વિપક્ષની એકતા જાળવી રાખવી પણ જરૂરી છે.
રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન ચૂંટણી કમિશનરને ચેતવણી આપી કે જ્યારે ગઠબંધન સરકાર બનશે ત્યારે ‘વોટ ચોરી‘ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આખો દેશ ચૂંટણી પંચ પાસેથી સોગંદનામું માંગશે અને જો સમય મળ્યો તો તેમની પાર્ટી દરેક વિધાનસભા અને લોકસભા ક્ષેત્રમાં ‘વોટ ચોરી‘નો પર્દાફાશ કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘જે રીતે PM નરેન્દ્ર મોદી બિહાર માટે વિશેષ પેકેજની વાત કરે છે, તે જ રીતે ચૂંટણી પંચ પણ બિહાર માટે એક ‘નવું વિશેષ પેકેજ‘ લઈને આવ્યું છે. જેનું નામ SIR છે, જે ‘વોટ ચોરીનું એક નવું સ્વરૂપ‘ છે.