Last Updated on by Sampurna Samachar
ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
નિવદનથી ગુજરાતની રાજનીતિમાં નવો ભૂકંપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના માણસા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં હજારોની મેદની વચ્ચે ઋષિ ભારતી બાપુએ મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવવામાં આવતા પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને આ માટે સમાજના જ કેટલાક લોકો પર પ્રહાર કર્યા હતા.

ઋષિ ભારતી બાપુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ અંગે ગાંધીનગરમાં અનેક બેઠકો અને સંમેલનો પણ થયા હતા. તેમણે કહ્યું કે, “અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા અમને દુ:ખ થયું છે.” તેમણે ઉમેર્યું કે મંત્રીમંડળની રચના સમયે સમાજને અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની અપેક્ષા હતી, પરંતુ તે પૂરી ન થઈ.
ઋષિ ભારતીએ શું કહ્યુ તે હું જાણતો નથી : અલ્પેશ ઠાકોર
ઋષિ ભારતી બાપુએ સમાજની આંતરિક સ્થિતિ પર પણ ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, “સમાજના જ કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી.” તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ક્ષત્રિય ઠાકોર સમાજ વ્હાઇટ કોલર ગુલામી કરે છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે સૌથી વધુ મતદાર હોવા છતાં, ઠાકોર સમાજને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન ન મળ્યું. આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને સમાજમાં આંતરિક ચર્ચા શરૂ થઈ છે. હજારોની મેદનીમાં યોજાયેલા આ સંમેલનમાં ઋષિ ભારતી બાપુના આ નિવદને ગુજરાતની રાજનીતિમાં એક નવો જ ભૂકંપ છે.
ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને જાહેર મંચ પરથી ઋષિ ભારતીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ, ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે ઉપમુખ્યમંત્રીના સવાલથી કિનારો કરી દીધો હતો અને અસ્પષ્ટ જવાબ આપ્યો હતો.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઋષિ ભારતીએ શું કહ્યુ તે હું જાણતો નથી, સરકારમાં તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે. મહત્વનું છે કે આ મુદ્દે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ ફૂંકી ફૂંકીને જવાબો આપ્યા હતા.