Last Updated on by Sampurna Samachar
પાણી પુરવઠા વિભાગ દ્વારા હેલ્પલાઇન સેન્ટર શરુ કરાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના ટેક્નોલોજી અને ઈન્ટરનેટનો યુગ છે ત્યારે રાજ્ય સરકારે પણ આ દિશામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રજૂઆતો- સમસ્યાઓનું નિવારણ લાવવાનું સુનિશ્ચિત કર્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પેયજળને લાગતી સમસ્યાને બનતી ત્વરાએ નિકાલ લાવવા પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૯૧૬ ટોલ ફ્રી નંબર અને વેબસાઈટ અમલી બનાવી છે.
રાજ્યમાં વર્ષ ૨૦૧૮ થી પાણી પુરવઠા વિભાગ દ્વારા ૨૪ ટ ૭ હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર અને વેબસાઈટ ઉપર અત્યાર સુધી ૧૮૨૪૬૪ રજૂઆતો નોંધાઈ છે. જે પૈકી ૧૮૨૩૩૧ એટલે કે ૯૯.૯૨ ટકા રજૂઆતોનો સંતોષકારક ઉકેલ- નિકાલ કરીને, ‘જલ હી જીવન હે’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
જીવન જીવવા માટે પાણી ખૂબ જ આવશ્યક છે, ત્યારે ટકાઉ વિકાસ માટે પાણીની અગત્યતાને ગુજરાત સરકારે સારી રીતે સમજી, તેને સંલગ્ન અનેકવિધ પગલા- આગવી પહેલ હાથ ધરી છે. જેના પરિણામે રાજ્યના છેવાડાના માનવી સુધી શુદ્ધ પાણી તેમજ પાયાની તમામ સુવિધા પહોચાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તેમજ જળ સંપત્તિ- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સબળ નેતૃત્વમાં ગુજરાતે દેશભરમાં ‘સુશાસન’ની એક આગવી ઓળખ ઊભી કરી છે.
રાજ્યની બહેનોને જળ ક્ષેત્રે બહોળો અનુભવ અને જળલક્ષી તમામ માહિતી મળે તેવા ઉમદા આશયથી પાણી સમિતિઓ કાર્યરત છે, જેમાં ૫૦ ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય છે. ઉપરાંત વાસ્મો દ્વારા ૭૦ ટકાથી વધુ મહિલા સભ્યો ધરાવતી દર વર્ષે ૧૫૦ મહિલા પાણી સમિતિને પ્રતિ સમિતિ રૂ. ૫૦ હજારની પ્રાત્સાહિત રકમ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યભરની ૧૩૭૯ મહિલા સમિતિને અત્યાર સુધીમાં રૂ. ૬.૧૮ કરોડની પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે.
સાથે જ, વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા – તાલુકાકક્ષાએ તાલીમ શિબિર, પ્રેરણા પ્રવાસ જેવા વિવિધ કાર્યક્રમો યોજવવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૩૮૫ તાલીમ- કાર્યશાળા અને ૨૪૧ પ્રેરણા પ્રવાસમાં અંદાજે ૪૧ હજારથી વધુ બહેનો સહભાગી થઇને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા GIS મેપીંગ થ્રુ મોનીટરીંગ કરવા માટે IOT સોફટવેર વિકસાવવામાં આવ્યું છે, જેના પરિણામે જળ વિતરણ – ગુણવત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. IOT સૉફ્ટવેરના માધ્યમથી પાણીના પ્રવાહનું નિરીક્ષણ – વિતરણ કરતી વખતે ડેટા સંગ્રહ અને વિશ્લેષણના માધ્યમથી જળ સુરક્ષા, ગુણવત્તા અને તેની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત, રાજ્યના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં ૨૩૦૦ જેટલા IOT સૉફ્ટવેર આધારિત ઉપકરણો જેમ કે ફ્લો મીટર વગેરે તેમજ વિશ્લેષકોને સ્થાપિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧૦૦ ઉપકરણોમાંથી રિમોટ ડેટા મેળવવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના પાણી વિતરણ નેટવર્કને અનુકૂલિત કરવામાં આવે છે.