Last Updated on by Sampurna Samachar
આકરા તાપથી લોકોને રાહત મળે તે માટે કર્યો અનોખો પ્રયોગ
લાલ દરવાજા ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર ૭ અને ૮ પર આ સુવિધા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના વિવિધ શહેરોમાં સાથે અમદાવાદમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે શહેરીજનોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક અનોખું પગલું હાથ ધર્યું છે. જેથી મુસાફરોને રાહત મળી શકે. AMC એ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મુસાફરોને ઠંડક અને આરામ આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે.

અમદાવાદ હીટ એક્શન પ્લાન હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ‘કુલ બસ સ્ટોપ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. લાલ દરવાજા ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર ૭ અને ૮ પર ખાસ કર્ટેન્સ સાથે આ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. આ પડદા મુસાફરોને ગરમીથી રાહત તો આપશે જ, પરંતુ સ્ટોપને વધુ ઠંડુ અને આરામદાયક પણ બનાવશે. આ ખાસ પ્રકારના સ્ટોપ પર ઉભા રહી મુસાફરો પણ ગરમીમાં ઠંડકનો અનુભવ થશે.
આ સ્થળની દરરોજ ૩,૦૦૦ થી વધુ લોકો લે છે મુલાકાત
અમદાવાદ (AMDAVAD) શહેરમાં ગરમીના પ્રકોપથી નાગરિકોને બચાવવા માટે આ પગલું એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મુસાફરોને ઠંડકની સુવિધા આપવાનો નથી. પરંતુ શહેરના અન્ય ભાગોમાં પણ આવી સુવિધાઓ વિકસાવવાનો છે. આ પ્રયોગને સફળ બનાવવા માટે, મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગોએ ઘણા તકનીકી પગલાંની મદદ લીધી છે, જેથી ઉનાળાની ઋતુમાં મુસાફરી વધુ આરામદાયક અને સલામત બની શકે.
વાત કરીએ તો આ પડદા સૂકા ઘાસમાંથી બનાવામાં આવેલા છે. આ પડદાની મદદથી બનેલા આ કૂલિંગ બસ સ્ટોપથી મુસાફરોને ગરમીથી રાહત આપવામાં ઘણી મદદ મળી છે. મુસાફરોએ આ પહેલ માટે વહીવટીતંત્રની પ્રશંસા કરી છે. કારણ કે તે માત્ર ઠંડક પ્રદાન નથી કરતુ પણ મુસાફરોને આકરા તડકાથી પણ રક્ષણ આપે છે.
આ કૂલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ લગાવવામાં આવ્યું છે જ્યાં દરરોજ ૩,૦૦૦ થી વધુ લોકો મુલાકાત લે છે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો અને અન્ય લોકો જેઓ આ માર્ગ પરથી મુસાફરી કરે છે તેઓ તેની મુલાકાત લે છે. ત્યારે AMC નું આ પગલું લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ પ્રોત્સાહિત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ભવિષ્યમાં શહેરના અન્ય મુખ્ય બસ સ્ટોપ પર પણ આ પ્રકારની કૂલિંગ સિસ્ટમ લગાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેથી વધુને વધુ મુસાફરોને આ પ્રકારની રાહત મળી શકે.