Last Updated on by Sampurna Samachar
માંગ નહીં માનવામાં આવી તો આંદોલન કરીશું
આ કાયદામાં બીજા ધર્મના લોકોને પણ સામેલ કરવામાં આવે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બેનર હેઠળ વક્ફ (સંશોધન) બિલ સામે વિરોધમાં અલગ-અલગ મુસ્લિમ સંગઠનોના પ્રમુખ અને રાજકીય પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતાઓએ જંતર-મંતર પર પહોંચવાનું શરુ કરી દીધું હતું. આ દરમિયાન ઝમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહેમૂદ મદની, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ, ઈમરાન મસૂદ અને અસદુદ્દીન ઔવેસી જેવા દિગ્ગજ જંતર-મંતર પહોંચ્યા છે.
AIMPLB ધરણા પર પ્રતિક્રિયા આપતાં વક્ફ JPC અધ્યક્ષ અને ભાજપ સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે, ‘જંતર-મંતરનો વિરોધ, રાજકીય પ્રેરિત છે. આ વિરોધ સુનિયોજીત પ્રકારે કરવામાં આવી રહ્યો છે, જે રાજકીય ઘર્ષણના કારણે છે. વિપક્ષના લોકો તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે AIMPLB ને સવાલ પૂછતા કહ્યું કે, કઈ વાતને લઈને વિરોધ થઈ રહ્યો છે? અમે ૪૨૮ પેજનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો છે. તેમણે રિપોર્ટ વાંચ્યો નથી.
દેશના લોકોને ભ્રમિત કરવામાં આવ્યા
કલેક્ટરના મામલે સવાલ કરવો ઠીક નથી.‘ જગદંબિકા પાલે દાવો કર્યો કે, આ બિલ ગરીબ મુસ્લિમ અને પસમાંદા મુસ્લિમ માટે છે. જ્યારે બેઠક થઈ રહી હતી તો તેમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, તમામ સ્ટેઇક હોલ્ડર સામેલ હતા, તેમ છતાં વિરોધ કરવો યોગ્ય નથી. આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ કાયદાને લઈને ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે. દેશના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.
દેશ અને રાજ્ય કાયદાથી ચાલે છે. ૩૭૦ સમયે પણ લોહીની નદીઓ વહેવાની વાત કરવામાં આવી હતી પરંતુ, જમ્મુ-કાશ્મીરમાં એવું કંઈ ન થયું. ત્રિપલ તલાકના સમયે પણ જંતર-મંતર પર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમ પહેલાંના સંશોધન દેશના ભલા માટે કરવામાં આવ્યા હતા તેમ વક્ફ પણ દેશના ભલા માટે કરવામાં આવી રહ્યું છે.
વિરોધ પહેલાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું કે, ‘આ વિરોધ પ્રદર્શનમાં AIMPLB સાથે-સાથે બીજા અનેક મુસ્લિમ સંગઠન પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે. જંતર-મંતરથી સંદેશ આપવામાં આવશે કે માંગ નહીં માનવામાં આવી તો આંદોલન કરીશું.
વિરોધમાં અલગ-અલગ રાજ્યના પ્રતિનિધિઓનું કહેવું છે કે, આ જમીન અમારા બાપ-દાદાઓની છે. આ બિલ દ્વારા ઘર, જમીન અને મસ્જિદો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ કાળો કાયદો છે. અમે તેને લાગુ નહીં થવા દઈએ. જો કોઈ ધાંધલી કરવામાં આવી રહી છે તો સરકાર તેની તપાસ કરે. આ કાયદામાં બીજા ધર્મના લોકોને પણ સામેલ કરવામાં આવે.‘