વક્ફ સુધારા બિલને રાજ્યસભામાં પસાર કરાયું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જો રાષ્ટ્રપતિ મંજુર કરશે આ વક્ફ બિલ કાયદો બની જશે

રાજ્યસભામાં મોડી રાત સુધી મેરેથોન ચર્ચા ચાલી

(સંપૂર્ણ સમાચાર સેવા)

વક્ફ સુધારા બિલ ૨૦૨૫ ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલની તરફેણમાં ૧૨૮ વોટ જ્યારે ૯૫ સભ્યોએ વિરોધમાં વોટિંગ કર્યું હતું. વક્ફ સુધારા કાયદો બનવા માટે હવે એક જ ડગલું રહી ગયું છે. આ બિલને હવે રાષ્ટ્રપતિને મોકલાશે જ્યાંથી મંજૂરી મળતાં જ વક્ફ કાયદો બની જશે.

વિપક્ષ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ સુધારા બિલ મુસ્લિમ વિરોધી હોવા અંગે આખા દેશમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ બિલ રાજ્યસભામાં પણ મોડી રાતે પસાર થઈ ગયું હતું. લોકસભામાં લગભગ ૧૪ કલાક લાંબી ચર્ચા પછી આ બિલ પસાર થઈ ગયું હતું. એ જ રીતે રાજ્યસભામાં આ બિલ પર મોડી રાત સુધી મેરેથોન ચર્ચા ચાલી હતી.

આ બિલમાં રાઈટ ટુ અપીલની પણ જોગવાઈ

વિપક્ષે આ બિલના સુધારાને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા જ્યારે કેન્દ્ર સરકારે વક્ફ  (WAQF) બોર્ડના કામકાજમાં  પારદર્શિતા અને જવાબદારી લાવવાના આશયથી બિલમાં સુધારા કરાયા હોવાનો દાવો કર્યો હતો. રાજ્યસભામાં પસાર થવાની સાથે આ બિલને મંજૂરી માટે હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાશે. ત્યારપછી આ બિલ કાયદો બની જશે.

લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વક્ફ સુધારા બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા તેમણે કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલા બિલને જેપીસી પાસે મોકલાયું હતું. વક્ફ અંગે જેપીસીએ જેટલું કામ કર્યું, તેટલું કામ કોઈપણ કમિટિએ કર્યું નથી.

આ બિલમાં જે ફેરફારો થયા છે તે પારદર્શિતા, જવાબદારી અને એક્યુરસીને ધ્યાનમાં રાખી કરાયા છે. અમે કોઈની ધાર્મિક ભાવનાને નુકસાન પહોંચાડવા માંગતા નથી. વક્ફ કોઈની સંપત્તિ પર સીધો કબજાે નહીં કરી શકે. સંપત્તિના દાવા માટે દસ્તાવેજ જરૂરી છે. સંપત્તિનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આદિવાસી વિસ્તારોમાં કોઈ પ્રોપર્ટીને વક્ફ જાહેર નહીં કરી શકાય. અમે આ બિલમાં રાઈટ ટુ અપીલની પણ જોગવાઈ રાખી છે. ટ્રિબ્યુનલનો પાંચ વર્ષનો સમય નિશ્ચિત કરાયો છે. આ બિલ કરોડો મુસ્લિમોના હિતમાં છે.

જોકે, ઈન્ડિયા બ્લોક હેઠળ કોંગ્રેસ, તૃણમૂલ, ડીએમકે, આપ, શિવસેના (યુબીટી), સમાજવાદી પક્ષ, રાજદ અને ડાબેરી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમણે આ બિલ મારફત મુસ્લિમોને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદ સૈયદ નાસીર હુસૈને ભાજપ પર પોતાની વોટ બેન્ક માટે દેશમાં કોમી તંગદિલી ઊભી કરવાનો અને ધૂ્રવીકરણનું રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો.

રાજદ નેતા મનોજ ઝાએ કહ્યું કે, આ બિલ સરકારના ઈરાદાઓ સામે સવાલ ઊભા કરે છે. આ બિલ મુસ્લિમોને મુખ્યપ્રવાહથી અલગ કરવાના રાજકારણ સમાન છે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ બિલ લઘુમતીઓને પરેશાન કરવા માટે લવાયું છે. ભાજપ પસમાંદા મુસ્લિમો અને મહિલાઓની વાત કરે છે. પરંતુ મુસ્લીમોની પાંચ સ્કીમો બંધ કરી દીધી. ૧૯૯૫નો કાયદો સર્વસંમતિથી સ્વીકારાયો હતો. આજે એ જ લોકો કહે છે કે તે બરાબર નથી.

વક્ફ બોર્ડની પ્રોપર્ટીની લેન્ડ બેન્ક બનાવીને ઉદ્યોગપતિઓને આપશો કે કોને તે ખબર નથી.ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ બૃજલાલે બેટ દ્વારકા પર વક્ફના દાવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, યુપીએ સરકાર હોત તો ભગવાન કૃષ્ણની આ તીર્થનગરી વક્ફની થઈ ગઈ હોત. ૨૦૧૭ માં એક મૌલાનાએ બદ્રીનાથ મંદિર પર પણ દાવો કરતા કહ્યું કે આ બદરુદ્દીન શાહ છે. સરકાર અમને તે નહીં આપે તો અમે તેના પર કબજો કરી લઈશું. બૃજલાલે ઈનેમી પ્રોપર્ટી પર વક્ફના દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસ સહિત વિપક્ષને જવાબ આપતા ભાજપ નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, મને આશા છે કે બધા ઉમ્મીદનું સમર્થન કરશે. આ બિલનો આશય સુધારા લાવીને વક્ફ સંપત્તિઓનું સંચાલન સુવ્યવસ્થિત કરવાનો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ચાલતી સરકાર લોકતાંત્રિક મૂલ્યોને અનુરૂપ આગળ વધે છે. વક્ફ સંપત્તિમાં ગડબડની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ. તેમણે વક્ફ અંગે મુસ્લિમ દેશોમાં થયેલા સુધારા પણ ગણાવ્યા હતા. હકીકતમાં કોંગ્રેસે મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી રાખ્યા હતા. વક્ફ બોર્ડ કોઈપણ દસ્તાવેજો વિના કોઈપણ સંપત્તિ પર ક્લેમ કરી દેતા હતા. અમે તે બધુ બંધ કરી દીધું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.