Last Updated on by Sampurna Samachar
ઉત્તરાખંડ CAG રિપોર્ટમાં ખુલાસો થયો જુઓ …
અહેવાલ વિધાનસભામાં સબમિટ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જનતાના રૂપિયાનો સરકારી તંત્ર દ્વારા દુરુપયોગ થવો, એ હવે ભારતમાં કોઈ નવાઈની વાત નથી રહી. તાજેતરમાં પણ આવો એક દુરુપયોગ સામે આવ્યો છે. ઉત્તરાખંડમાં વનીકરણ માટે નિશ્ચિત કરાયેલા ભંડોળમાંથી રાજ્યના વન વિભાગે પોતાના અંગત વપરાશ હેતુ વિવિધ ચીજવસ્તુઓ ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે! આ હકીકતનો ખુલાસો ભારતના ‘કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ’ (CAG) દ્વારા હાથ ધરવામાં આવેલા ઑડિટમાં થયો છે.
‘દેવભૂમિ’ કહેવાતું ઉત્તરાખંડ રાજ્ય ત્યાંના પર્યાવરણ અને ખુશનુમા આબોહવાને લીધે જાણીતું છે. કુદરતે આ પર્વતાળ રાજ્યને લખલૂંટ કુદરતી સૌંદર્યની લહાણી કરી છે. જોકે, છેલ્લા થોડા વર્ષોમાં વિકાસના નામે આ રાજ્યની કુદરતી સંપદાઓનો કચ્ચરઘાણ કાઢવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજ્યના વન વિભાગે વનીકરણ માટે ફાળવાયેલા ભંડોળનો ઉપયોગ અસંબંધિત ચીજવસ્તુઓ ખરીદવા માટે કર્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે આઈફોન, લેપટોપ, રેફ્રિજરેટર્સ અને કૂલર ખરીદવામાં આવ્યા હતા. ઉપરાંત, વન વિભાગની ઈમારતોના રિનોવેશનમાં અને કાનૂની ફીની ચૂકવણીમાં પણ વનીકરણ માટેનું ભંડોળ નિયમોનો ભંગ કરીને વાપરવામાં આવ્યું હતું.
‘કોમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ’ (CAG) દ્વારા હાથ ધરવામાં આવેલા ઑડિટમાં આ સત્ય સામે આવ્યું છે. અહેવાલમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ સુધીની ‘કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી’ (CAMPA) ની કામગીરીને આવરી લેવામાં આવી છે. અહેવાલ વિધાનસભામાં સબમિટ કરવામાં આવ્યો હતો.
CAG ના અહેવાલ મુજબ, કુલ ૧૩.૮૬ કરોડ રૂપિયા વનીકરણ પર ખર્ચવાને બદલે ભળતી જ પ્રવૃત્તિઓમાં વેડફવામાં આવ્યા હતા. જોકે, અહેવાલમાં આ ખર્ચાઓનું વિગતવાર વિવરણ આપવામાં આવ્યું નથી. CAMPA કેન્દ્રિય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ આવે છે. CAMPA નું કામ જંગલની જમીનને બિન-જંગલ હેતુઓ માટે રૂપાંતરિત કરનાર વિકાસકર્તાઓ પાસેથી એકત્રિત ભંડોળનું સંચાલન કરવાનું છે. જંગલની જેટલી જમીન રૂપાંતરિત થઈ હોય એટલી જમીનમાં બીજે કશે વનીકરણ કરવાની જવાબદારી CAMPA ની હોય છે.
CAG ના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે નવી જગ્યાએ જે વનીકરણ કરવામાં આવે છે એના વૃક્ષોનો ટકી જવાનો દર ખાસ્સો નીચો છે. વૃક્ષોની બચવાની સરેરાશ ટકાવારી ફક્ત ૩૩.૫૧ % જ છે. એનો અર્થ એ કે જેટલા નવા વૃક્ષો રોપાય છે એમાંના ફક્ત ત્રીજા ભાગના વૃક્ષો જ ટકી જાય છે અને વિકસીને મોટા થાય છે.
ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં આવેલ ‘ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ (FRI) દ્વારા નિશ્ચિત કરાયું છે કે વનીકરણની સફળતાનો દર ૬૦ થી ૬૫ % હોવો જોઈએ. ૩૩.૫૧ % એટલે અપેક્ષિત દર કરતાં અડધો જ થયો! મતલબ કે પર્યાવરણને સીધો પચાસ ટકા ફટકો પડી રહ્યો છે!
અહેવાલમાં લખ્યું છે કે, રાજ્યભરમાં ૧૮૮.૬૨ હેક્ટર જંગલ સફાચટ કરીને રસ્તા બનાવાયા છે. આવા કામ માટે ‘ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ’ હેઠળ કેન્દ્ર સરકારની પરવાનગી જરૂરી હોય છે, જે ઉત્તરાખંડમાં લેવામાં આવી નથી! જરૂરી મંજૂરીઓ વિના જ જંગલો કાપીને રસ્તા બનાવી દેવાયા છે. આઘાતજનક વાત એ છે કે, વન વિભાગે પણ જંગલની જમીનના આવા અનધિકૃત ઉપયોગ સામે કોઈ જ પગલાં લીધા નથી, અને તેને વન-ગુનામાં ગણ્યા નથી. ઉત્તરાખંડમાં ભાજપા સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપા જ છે, એટલે કોઈને આવી પરવાનગીઓ લેવાની કે પછી ગુનાઓ નોંધવાની જરૂર નહીં લાગી હોય, એવું લાગે છે.
CAG અહેવાલમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં વળતરકારી વનીકરણ માટેની અંતિમ મંજૂરી મળ્યા પછી તેનો અમલ કરવામાં આઠ વર્ષ કરતાં વધુ સમય લાગ્યો છે. આ વિલંબને કારણે વનીકરણના ખર્ચમાં ૧૧.૫૪ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તરાખંડની રાજ્ય સરકારે ‘માટી અને જળ સંરક્ષણ’, ‘ઘાસના મેદાનોની જાળવણી’, તથા ‘વન વિભાગની ઈમારતોના બાંધકામ અને નવીનીકરણ’ જેવી વિવિધ વનસંવર્ધન પ્રવૃત્તિઓમાંથી હાથ ખંખેરીને એ બધી જવાબદારી CAMPA ને સોંપી દીધી છે. જેને પરિણામે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ દરમિયાન રાજ્યની યોજનાઓ પરનો ખર્ચ તો ૧૬.૮૧ % ઘટ્યો હતો, પણ એની સામે CAMPA ના ખર્ચમાં ૩૭૯.૬૩ % નો તોતિંગ વધારો થઈ ગયો હતો.