Last Updated on by Sampurna Samachar
અનક્લેમ્ડ ફંડ્સ નાગરિકો સુધી પહોંચશે!
આ નાણાં તેના હકદાર માલિકો સુધી પહોંચશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર ર્નિમલા સીતારામને જણાવ્યું હતું કે, બેંકો અને નાણાકીય નિયમનકારો પાસે ૧.૮૪ લાખ કરોડની ‘અનક્લેમ્ડ સંપત્તિ’ છે. તેમણે અધિકારીઓને વિનંતી કરી કે, આ નાણાં તેના હકદાર માલિકો સુધી પહોંચે તેની ખાતરી કરે. સીતારામને ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં “આપકી પૂંજી, આપકા અધિકાર” ઝુંબેશ શરૂ કરી.

આ ઝુંબેશ ત્રણ મહિના સુધી ચાલશે અને તેના મુખ્ય ઉદ્દેશ્યમાં સતર્કતા, ઍક્સેસ અને કાર્યવાહી છે. આ ઝુંબેશનો હેતુ લોકોને તેમના ‘અનક્લેમ્ડ ફંડ્સ’ શોધવા અને પુન:પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઘણા વરિષ્ઠ બેંક તેમજ નાણાં મંત્રાલયના અધિકારીઓ આ પ્રસંગે હાજર હતા.
સીતારમણે ગુજરાત ગ્રામીણ બેંકની પ્રશંસા કરી
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ૧.૮૪ ટ્રિલિયનની ‘અનક્લેમ્ડ સંપત્તિ’ બેંકો અને નિયમનકારો પાસે છે. આ રાશિ ડિપોઝિટ્સ, વીમા, પ્રોવિડન્ટ ફંડ અને શેરના રૂપમાં છે. સીતારામને લોકોને ખાતરી આપી કે, આ પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે કહ્યું, “તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે સાચા દસ્તાવેજો લાવી શકો છો. સરકાર તેની રક્ષક છે અને આ પૈસા તમને આપવામાં આવશે.”
નાણામંત્રીએ સમજાવ્યું કે, લાંબા સમય સુધી ‘અનક્લેમ્ડ સંપત્તિ’ વિવિધ સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બેંકોમાં ‘અનક્લેમ્ડ ડિપોઝિટ્સ’ RBI પાસે જાય છે. સ્ટોક્સ અથવા સમાન સંપત્તિઓ SEBI માંથી IEPF અથવા અન્ય કેન્દ્રોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
સીતારમણે RBI ના DGAM (અનક્લેઇમ્ડ ડિપોઝિટ ગેટવે ટુ એક્સેસ ઇન્ફર્મેશન) પોર્ટલ પર હાઇલાઇટ કર્યું, જેના દ્વારા કોઈપણ વ્યક્તિ તેમની ‘અનક્લેમ્ડ ડિપોઝિટ્સ’ શોધી શકે છે અને ક્લેમ કરી શકે છે. સીતારામને અધિકારીઓને કહ્યું કે, આને સફળ બનાવવા માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.
નાણામંત્રીએ આ પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો. સીતારમણે ગુજરાત ગ્રામીણ બેંકની પ્રશંસા કરી, જેણે વચન આપ્યું છે કે તેના અધિકારીઓ રાજ્યના દરેક ગામની મુલાકાત લેશે અને ‘અનક્લેમ્ડ ડિપોઝિટ્સ’ના હકદાર માલિકોને ઓળખીને તેમને મદદ કરશે.