Last Updated on by Sampurna Samachar
૩ અન્ય લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા
ભાગદોડમાં ૧૧ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુમાં RCB ની જીતની ઉજવણીમાં થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મોતની માહિતી મળી હતી. જે મામલે બેંગલુરુ પોલીસ દ્વાકા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણને કસ્ટડીમાં લીધા છે. વાત કરીએ તો ધરપકડ કરાયેલામાં IPL ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (BENGLURU) ના ટોચના માર્કેટિંગ અધિકારી નિખિલ સોસલે સામેલ છે. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે તેઓ એરપોર્ટ જઈ રહ્યા હતા. આ મામલે પકડાયેલા ત્રણ અન્ય લોકો ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA સાથે જોડાયેલા છે.
અત્રે જણાવવાનું કે બેંગલુરુમાં RCB ની જીતની ઉજવણીમાં મચેલી ભાગદોડ મામલે પોલીસે FIR દાખલ કરી હતી. અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નિખિલ સોસલે મુંબઈ જવાની ફિરાકમાં હતા અને જેવા તેઓ એરપોર્ટ પહોંચ્યા કે પોલીસે તેમની ત્યાં ધરપકડ કરી. નિખિલની હાલ પૂછપરછ ચાલુ છે. જેથી કરીને માહિતી મેળવી શકાય કે બેંગલુરુમાં RCB ની જીત બાદ થયેલી ઉજવણી ટાણે મચેલી ભાગદોડમાં અને અવ્યવસ્થામાં તેમની ભૂમિકા કેટલી ગંભીર હતી.
DNA ના ત્રણ સ્ટાફ મેમ્બર્સને પકડી પડાયા
નિખિલ ઉપરાંત ૩ અન્ય લોકોને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે કાર્યક્રમના આયોજનમાં કયા કયા નિયમોની અવગણના કરવામાં આવી, કોની મંજૂરીથી આયોજન થયું અને શું સુરક્ષા માપદંડોનું પાલન કરાયું હતું કે નહીં. તેની પાછળ કોણ જવાબદાર છે.
આ ધરપકડ આ મામલે મોટી કાર્યવાહી ગણાઈ રહી છે અને આવનારા દિવસોમં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે. આ અગાઉ RCB ની ભાગદોડમાં જીવ ગુમાવનારા ૧૧ સમર્થકોના પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની પણ જાહેરાત થઈ છે.
અત્રે જણાવવાનું કે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મચેલી આ ભાગદોડમાં ૧૧ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થવાના મામલે કબ્બન પાર્ક પોલીસ મથકમાં આરસીબી, ડીએનએ એન્ટરટેઈન્મેન્ટ નેટવર્ક્સ (જે ઈવેન્ટનું આયોજન કરનારી કંપની હતી), કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ હતી.
DNA ના ત્રણ સ્ટાફ મેમ્બર્સ કિરણ, સુમંથ અને સુનિલ મેથ્યુને પણ પોલીસે પકડ્યા છે. હાલ પોલીસ પૂછપરછ ચાલુ છે. નોંધનીય છે કે આ મામલે સીએમ સિદ્ધારમૈયાએ પોલીસને ભાગદોડની જવાબદાર ગણી હતી. ત્યારબાદ પોલીસ કમિશનર સહિત અનેક ઓફિસરો સસ્પેન્ડ થયા હતા. ત્યારબાદ કર્ણાટકના આઈપીએસ અધિકારી સીમાંતકુમાર સિંહને બેંગલુરુના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.