Last Updated on by Sampurna Samachar
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને પગલાં લેવા કરી માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીલંકન નેવીએ ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકાના નૌકાદળ દ્વારા બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૩૪ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે, અધિકારીઓએ જણાવ્યું હતું. આ સાથે માછીમારોની બોટ પણ જપ્ત કરવામાં આવી છે. આ ધરપકડ તમિલનાડુના ધનુષકોડી પાસે કરવામાં આવી છે. આ ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને આ મામલે નક્કર રાજદ્વારી પગલાં ભરવાની અપીલ કરી છે.
તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને માછીમારોને બચાવવા માટે પગલાં લેવા વિનંતી કરી છે. સ્ટાલિને કહ્યું છે કે ધરપકડ કરાયેલા માછીમારોમાંથી ૩૨ તમિલનાડુ અને ૨ કેરળના છે. સ્ટાલિને કહ્યું, અમારા માછીમારોની વારંવાર અટકાયતથી દરિયાકાંઠાના સમુદાયો તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. શ્રીલંકાની નૌકાદળ દ્વારા અમારા માછીમારોની ધરપકડ થતા રોકવાનો સમય આવી ગયો છે. નક્કર રાજદ્વારી પગલાં લેવા જોઈએ.
શ્રીલંકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે નૌકાદળે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ શ્રીલંકાના જળસીમામાં મન્નાર જિલ્લાના દરિયાકાંઠેથી બેની ધરપકડ કરી હતી. પકડાયેલા ભારતીય માછીમારોને આગળની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. શ્રીલંકાએ માછીમારો પર ગેરકાયદે માછીમારીનો આરોપ લગાવ્યો છે.
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ગયા સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે શ્રીલંકા દ્વારા ધરપકડ કરાયેલા ૪૧ ભારતીય માછીમારોને વતન મોકલી દેવામાં આવ્યા છે. અગાઉ ૧૩ જાન્યુઆરીએ પણ ૮ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. CM સ્ટાલિને માછીમારોની ધરપકડ રોકવા અને પકડાયેલા માછીમારો અને તેમની બોટોને મુક્ત કરવા રાજદ્વારી માધ્યમો દ્વારા જરૂરી તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.