Last Updated on by Sampurna Samachar
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બેઠક યોજી
ડેમમાંથી પાણી ન છોડવા બાબતે યોજાઇ બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળાની ઋતુમાં પાણીની અછત સર્જાતી હોય ત્યારે દેશમાં પણ પાણીની માંગ વધતી હોય તેમ જણાઇ રહ્યુ છે. આવી ઋતુમાં પાણીએ બે રાજ્યોના રાજકીય તાપમાનમાં પણ વધારો કર્યો છે. ચંડીગઢથી દિલ્હી સુધી બેઠકોની શ્રેણી ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંડીગઢમાં પંજાબ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક યોજી હતી.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પણ દિલ્હીમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવોની એક બેઠક બોલાવી છે. ગૃહ સચિવની બેઠકમાં ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના વડા મનોજ ત્રિપાઠી અને જળ શક્તિ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ હાજર છે.
ડેમની આસપાસ પોલીસ તહેનાત
હરિયાણાને વધારાનું પાણી આપવા અને ભાખરા ડેમમાંથી પાણી ન છોડવાના ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના ર્નિણય અંગે ગૃહ મંત્રાલયની બેઠક શરુ થઈ ગઈ છે. પંજાબના મુખ્ય સચિવ રજા પર છે, જેના કારણે રાજ્યના અધિક મુખ્ય સચિવ આલોક શેખર અને જળ સંસાધન વિભાગના મુખ્ય સચિવ કૃષ્ણ કુમાર બેઠકમાં હાજરી આપી રહ્યા છે.
આ બેઠકમાં હરિયાણાના મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગી પણ હાજર છે. માહિતી અનુસાર, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ ભાખરા ડેમમાંથી હરિયાણામાં વધારાનું પાણી છોડવામાં આવતાં અવરોધો અંગેની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા. ગૃહ મંત્રાલયે નાંગલમાં ભાખરા ડેમની આસપાસ પોલીસ તહેનાત કરવાની પણ નોંધ લીધી છે.
આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંડીગઢમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. હરિયાણા સાથેના પાણી વિવાદ અંગે ચંડીગઢના સેક્ટર ૩ સ્થિત પંજાબ ભવન ખાતે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં રાજ્યના તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વતી, પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડ અને વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયા, શિરોમણી અકાલી દળ વતી બલવિંદર સિંહ અને દલજીત ચીમા, કોંગ્રેસ વતી રાણા એપી સિંહ અને ત્રિપત રાજિન્દર સિંહ બાજવા હાજર રહ્યા હતા.
પંજાબ અને હરિયાણા વચ્ચે પાણી અંગેનો ઝઘડો કેમ થયો, કેમ ચંડીગઢથી દિલ્હી સુધી બેઠકોનો દોર શરુ થયો? આ પ્રશ્નો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમ જેમ પારો વધતો ગયો અને ગરમી વધતી ગઈ, તેમ તેમ પાણીનો વપરાશ પણ વધતો ગયો. હરિયાણા સરકારે ભાખરા ડેમમાંથી વધારાના પાણીની માંગણી કરી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ભાખરા ડેમમાંથી પાણી છોડવાની માંગ કરતાં કહ્યું કે, જો તે ભરાઈ જશે તો વધારાનું પાણી પાકિસ્તાન જશે. જે કોઈના હિતમાં નથી, પછી ભલે તે પંજાબ હોય કે હરિયાણા હોય કે ભારત, ડેમ ખાલી કરાવવો જોઈએ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હરિયાણાની વધારાના પાણીની માંગને નકારી કાઢતા કેન્દ્ર પાસે માંગ કરી હતી કે સિંધુ જળસંધિ રદ થયા પછી જે પાણી રોકવામાં આવ્યું છે તે હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની માંગણીઓને પૂર્ણ કરવા માટે આપવામાં આવે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હરિયાણાએ માર્ચ સુધી જ પોતાના ભાગનું પાણી લીધું હતું. હવે વધારાનું પાણી આપી શકાય નહીં.