Last Updated on by Sampurna Samachar
તાપમાનમાં વધારો નોંધાતા ઉનાળાનો અહેસાસ થશે
૨૦ અને ૨૧ ફેબ્રુઆરી મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો નોંધાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં બદલાતા હવામાન વચ્ચે હવે શિયાળો ધીમે-ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાતા ઉનાળાનો અહેસાસ થશે.

આ દરમિયાન ત્રણ સિસ્ટમ સક્રિય બનવાથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતમાં હાલમાં એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ—સક્રિય થવાને કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
ખેડૂતોના પાકને નુકસાની પહોંચવાની ભીતિ
આ સિસ્ટમોની અસર હેઠળ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેવામાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે, આ ફેરફારથી ઠંડી વધવાની કોઈ જ શક્યતા નથી.
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની ગતિ તેજ રહેવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. પરંતુ ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો નોંધાશે.
આગામી સાત દિવસ સુધી રાજ્યનું હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે. વરસાદની આગાહીની સાથે સાથે રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં અન્ય ફેરફારો પણ જોવા મળશે. ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવનોની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે ઠંડકનો અનુભવ થઈ શકે છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સૂર્યપ્રકાશ ઓછો રહેશે અને વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. ખાસ કરીને સરહદી અને પર્વતીય વિસ્તારોને અડીને આવેલા જિલ્લાઓમાં પવનની તીવ્રતા વધુ રહેવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
માવઠાની આગાહીને પગલે ખેડૂતોના પાકને નુકસાની પહોંચવાની ભીતિ છે. જેમાં કમોસમી વરસાદને કારણે ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાનની શક્યતા છે, ત્યારે પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખૂલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.