Last Updated on by Sampurna Samachar
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન
અનેક મોટા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમની ભારત મુલાકાત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈના દબાણ સામે ઝૂકી જાય તેવા નેતા નથી. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને ભારત બંને અમેરિકાના ટેરિફ અને આંતરરાષ્ટ્રીય દબાણોનો સામનો કરી રહ્યા છે.

ઈન્ટરવ્યુમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગેના સવાલના જવાબમાં રશિયાના પ્રમુખ પુતિને પીએમ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા નથી કે જે દબાણ સામે ઝૂકી જાય. દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ છે અને દેશને તેના નેતૃત્વ પર ગર્વ હોવો જોઈએ.
પુતિનની આ ભારતમાં દસમી મુલાકાત
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની આ મુલાકાત દરમિયાન અનેક મોટા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, ત્યારે તેમમે બંને દેશો વચ્ચેના સહયોગની વ્યાપકતા પર ભાર મૂકતા કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે ૯૦ ટકાથી વધુ દ્વિપક્ષીય વ્યવહારો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
આ ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે ચર્ચા કરવા માટે ઘણું બધું છે, કારણ કે ભારત અને રશિયા વચ્ચે સહયોગનો વ્યાપ ખૂબ વ્યાપક છે. તેમણે બંને દેશો વચ્ચેના ખાસ ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો હતો અને સ્વતંત્રતા પછી માત્ર ૭૭ વર્ષમાં ભારતે જે નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે, તેની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, પુતિનનું આ નિવેદન ભારત-રશિયાના સંબંધોની મજબૂતી અને વૈશ્વિક રાજકારણમાં ભારતના વધતા કદને દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, પુતિનની આ ડિસેમ્બરની મુલાકાત ભારતની તેમની દસમી મુલાકાત હશે. આમાંથી ત્રણ મુલાકાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન (૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૧) થઈ હતી. વડાપ્રધાન મોદી પણ અત્યાર સુધીમાં સાત વખત રશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.