Last Updated on by Sampurna Samachar
Contents
તેલ સંકટ વચ્ચે ભારતે બાંગ્લાદેશને ૫ હજાર ટન ડીઝલનો પુરવઠો મોકલ્યો
બાંગ્લાદેશ પાસે માત્ર હવે બે સપ્તાહ ચાલી શકે તેટલો જ ઈંધણનો જથ્થો વધ્યો છે, ભારતે એક કરાર હેઠળ બાંગ્લાદેશને આ ડીઝલની સહાય કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. આ યુદ્ધના કારણે વિશ્વના ઘણા દેશોપર ઈંધણની આફત આવી પડી છે. આ દરમિયાન ભારતે બાંગ્લાદેશને ૫૦૦૦ ટન ડીઝલ સપ્લાય કરવાનો ર્નિણય લીધો છે. મહત્વનું છે કે બાંગ્લાદેશ પાસે માત્ર હવે બે સપ્તાહ ચાલી શકે તેટલો જ ઈંધણનો જથ્થો વધ્યો છે, ભારતે એક કરાર હેઠળ બાંગ્લાદેશને આ ડીઝલની સહાય કરી છે.

બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન મોહમ્મદ રેઝાનુર રહેમાને જણાવ્યું હતું કે, ‘ભારત સાથે અમારો એક કરાર છે અને તે કરાર મુજબ ભારત પાઈપલાઈન દ્વારા બાંગ્લાદેશને દર વર્ષે ૧,૮૦,૦૦૦ ટન ડીઝલ સપ્લાય કરશે. અત્યારે જે ૫,૦૦૦ ટન ડીઝલ આવી રહ્યું છે તે તે જ કરારનો એક ભાગ છે.‘ કરાર મુજબ, છ મહિનાની અંદર બાંગ્લાદેશમાં ઓછામાં ઓછું ૯૦,૦૦૦ ટન ડીઝલ આયાત કરવામાં આવશે.
ભારતે પાઈપલાઈન દ્વારા બાંગ્લાદેશને ડીઝલ મોકલ્યું
ભારતથી આજે એટલે કે મંગળવારે જે ખેપ આવી રહી છે તે ૫,૦૦૦ ટન છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી બે મહિનામાં બાકીનું ડીઝલ પણ આયાત કરી લેવામાં આવશે.ભારતે પાઈપલાઈન દ્વારા બાંગ્લાદેશને ડીઝલ મોકલ્યું છે. આ ડીઝલ બાંગ્લાદેશના પારબતીપુર બોર્ડરથી દેશમાં પ્રવેશ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સપ્લાયથી બાંગ્લાદેશમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી છે.
મિડલ ઈસ્ટમાં છેડાયેલા યુદ્ધ બાદ અન્ય દેશોની જેમ બાંગ્લાદેશમાં પણ ઈંધણનું સંકટ ઉભું થયું હતું, જે ભારત દ્વારા ડીઝલની પૂર્તિ થતા અમુક અંશે ઓછું થઈ શકશે. બીજી તરફ, બાંગ્લાદેશ સરકારે દેશમાં ઈંધણના સંગ્રહખોરીને લઈ કડક વલણ અપનાવ્યું છે. ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે કેટલાક વેપારીઓ બજારમાં કૃત્રિમ અછત ઉભી કરવા માટે ગેરકાયદેસર રીતે ઈંધણનો સંગ્રહ કરી રહ્યા છે.
બાંગ્લાદેશના ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક પેટ્રોલ પંપો પર નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઈંધણ વેચવામાં આવી રહ્યું છે અને વધારાનો નફો કમાવવા માટે ઈંધણનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ખુલ્લા બજારમાં ઈંધણ વેચવા અને દાણચોરીની ફરિયાદો પણ સામે આવી છે. આ પ્રવૃત્તિઓને રોકવા માટે બાંગ્લાદેશ સરકારે મોબાઈલ કોર્ટ દ્વારા નિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે. રાજધાની ઢાકામાં અનેક પેટ્રોલ પંપ અને ફ્યુઅલ સ્ટેશનોની તપાસ કરવામાં આવી છે.
બાંગ્લાદેશના તેજગાંવ સ્થિત ફિલિંગ સ્ટેશનમાં હાલમાં ઈંધણ ખતમ થઈ ગયું હોવાની માહિતી સામે આવી છે અને ત્યાં સપ્લાય પહોંચ્યા બાદ જ કામગીરી ફરી શરૂ થશે. બીજી તરફ, ‘ક્લીન ફ્યુઅલ તેજગાંવ‘ નામનો પેટ્રોલ પંપ તમામ નિયમો અનુસાર કાર્યરત હોવાનું જણાયું હતું. સરકારનું કહેવું છે કે ઈંધણનો પુરવઠો સામાન્ય રાખવા અને ગેરકાયદે સંગ્રહખોરી રોકવા માટે આવા અભિયાનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.