Last Updated on by Sampurna Samachar
વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અપીલ
ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. જે આ સત્રની શરૂઆત હોબાળા સાથે થઈ હોવાનુ સામે આવ્યુ છે. આ વખતે વિપક્ષે યુએસ ટ્રેડ ટેરિફ, મતદાર યાદીમાં કથિત હેરાફેરી, વક્ફ બિલ, સીમાંકન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં ત્રણ ભાષાના નિયમ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની યોજના બનાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર ગ્રાન્ટની માંગણીઓ માટે સંસદીય મંજૂરી મેળવશે, બજેટ પ્રક્રિયા પૂર્ણ કરશે અને વક્ફ સુધારા બિલ સહિત મુખ્ય કાયદા પસાર કરવા માટે તમામ પ્રયાસો કરશે. આ સત્રમાં વિવાદાસ્પદ વક્ફ સુધારા બિલ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થઈ શકે છે.
દેશભરમાં ચાલી રહ્યા છે પ્રશ્નો
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે દેશભરમાં મતદાર યાદી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આખો વિપક્ષ એકસાથે કહી રહ્યો છે કે અહીં મતદાર યાદી પર ચર્ચા થવી જોઈએ. આ અંગે વિપક્ષી સાંસદોએ લોકસભા સ્પીકરને મતદાર યાદી પર બોલવાની તક આપવાની અપીલ કરી હતી. DMK સાંસદ કનિમોઝીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તે નિવેદનની ટીકા કરી હતી જેમાં તેમણે તમિલનાડુના નેતાઓને અસંસ્કારી કહ્યા હતા. આના જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે જો મેં આવું કંઈક કહ્યું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. આજે ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુના સાંસદોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિરોધ વિશે ઘણું બધું કહ્યું હતું.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું છે કે દેશભરમાં મતદાર યાદી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરેક વિપક્ષ મતદાર યાદી પર પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. આખો વિપક્ષ ફક્ત એટલું જ કહી રહ્યો છે કે મતદાર યાદી પર ચર્ચા થવી જોઈએ. DMK નેતાએ તમિલનાડુમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે સરકાર પર પ્રહારો કર્યા. DMK નેતા ડૉ. ટી સુમતિએ પૂછ્યું, “શું કેન્દ્ર સરકાર સંસદને ખાતરી આપશે કે કાયદા દ્વારા ફરજિયાત ન હોય તેવી નીતિને નકારવા બદલ કોઈપણ રાજ્યને ભંડોળમાં કાપનો સામનો કરવો પડશે નહીં?”
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાજ્યસભાના સભ્યો વતી ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને શાંત રહેવા અને મંત્રીને બોલવા દેવા વિનંતી કરી હતી. ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને કહ્યું છે કે આ યોગ્ય નથી, તે સંસદના મૂલ્યોની વિરુદ્ધ છે, તેનું ઉલ્લંઘન ન કરો.
ગયા મહિને કેન્દ્રીય મંત્રીમંડળે કેટલાક ફેરફારો પછી આ બિલને મંજૂરી આપી હતી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર વકફ બિલ ટૂંક સમયમાં પસાર કરવા આતુર છે. તેમનો દાવો છે કે આનાથી મુસ્લિમ સમુદાયના ઘણા પ્રશ્નો ઉકેલાશે.
હકીકતમાં વિપક્ષ છેલ્લા ઘણા મહિનાઓથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ચૂંટણી પંચ અને ભાજપ સાથે મળીને મતદાર યાદીમાંથી ઘણા નામો કાઢી રહ્યા છે અને ઘણા નામો ઉમેરી પણ રહ્યા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તો એવું પણ કહી દીધું હતું કે મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.
અહીં સુધી કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દો કોર્ટમાં લઈ જવામાં આવશે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના ચીફે ગત અઠવાડિયે એક જ મતદાર ઓળખ કાર્ડ EPIC નંબર ધરાવતા અનેક મતદારોને ચિહ્નિત કર્યા હતા. બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે નકલી મતદારોનો ઉપયોગ કરીને આવતા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરી છે.