Last Updated on by Sampurna Samachar
ભારતમાં ડ્રાઇવરની નોકરી પણ રોજગારનો એક મોટો સ્ત્રોત
આ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવે AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનુ પ્રમાણ ચારે તરફ ઝડપથી વધી રહ્યુ છે. ત્યારે લોકોને રોજગાર સંબંધિત ચિંતાઓ પણ સતાવી રહી છે. આ ચિંતાને લઈને હવે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે એક સુનવણી દરમિયાન કહ્યું કે, ભવિષ્યમાં ડ્રાઈવરનું કામ પણ AI થી થશે. તેનાથી પરિણામો ખતરનાક આવી શકે છે અને મોટાપાયે લોકો બેરોજગાર થઈ શકે છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે એક જનહિતની અરજી પર સુનાવણી કરતી વખતે આ વાત કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે એવી માંગ કરી હતી કે, સરકારે ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સની ખરીદી અને તેના ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહિત કરતી નીતિ બનાવવા કહ્યું હતું. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે ડ્રાઈવરોના રોજગાર પર પણ અસર થઈ શકે છે.
AI થી વકીલો પણ ટક્કર લઈ રહ્યા છે
કોર્ટે કહ્યું, ‘અમારી ચિંતા એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આ ડ્રાઇવરો બેરોજગાર ન થવા જોઈએ.‘ ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડ્રાઇવરની નોકરી પણ રોજગારનો એક મોટો સ્ત્રોત છે. ન્યાયાધીશ સૂર્યકાંતે મજાકમાં કહ્યું કે, AI થી વકીલો પણ ટક્કર લઈ રહ્યા છે. એવા સાધનો આવ્યા છે, જેના થકી તમે કોઈપણ કાયદાકીય સલાહ લઈ શકો છો.
તેમણે કહ્યું કે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ઝડપથી વિકસતી ટેકનોલોજી છે. દર મહિને નવા સુધારા સાથે એક સારું મોડ્યુલ બહાર આવે છે. આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ તે AI -આધારિત એડવોકેટ ટૂલ્સ છે. અમેરિકામાં તો તેનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. અમને વકીલોની પણ ચિંતા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ મોટા-મોટા ઉદ્યોગપતિઓ આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કન્ટેન્ટ રાઇટિંગ અને કન્સલ્ટન્સી સહિત ઘણા વ્યવસાયો એવા છે, જેમને AI ના કારણે પ્રતિકૂળ અસર થવાની આશંકા છે.
ઈલેક્ટ્રિક કાર ખરીદવાની નીતિ અંગે દાખલ કરવામાં આવેલી PIL પર પ્રશાંત ભૂષણ દલીલ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ‘ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી પ્રોત્સાહન આપવું પડશે. તેનું મુખ્ય કારણ એ છે કે, વિશ્વના ૧૫ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૧૪ ભારતમાં છે. મારી માંગણી છે કે, સરકારે પોતે આવી નીતિ લાગુ કરવી જોઈએ. અને જો સરકાર આગળ નહીં વધે તો અન્ય વિભાગો કેવી રીતે આગળ વધશે. સરકારે મૂળભૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.‘
પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, ‘હાલમા ૪૦૦ કિલોમીટરના અંતરે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સેન્ટર ઉપલબ્ધ છે.‘ એટર્ની જનરલ આર. વેંકટરામણીએ સરકારનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, ‘અમને થોડો સમય આપવો જોઈએ. પછી અમે તમને જણાવીશું કે આ અંગે સરકારની નીતિ શું છે.‘ કોર્ટે હવે આ કેસની સુનાવણી માટે ૧૪ મેની તારીખ નક્કી કરી છે.