Last Updated on by Sampurna Samachar
હરિયાણામાં ૬ વર્ષમાં ૧૮ હજાર લોકોના હાર્ટ એટેકથી મોત
આમાં મૃતકોની ઉંમર ૧૮થી ૪૫ વર્ષ હતી : સરકારે કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં માહિતી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના સમયમાં યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતના એક રાજ્યમાંથી ચિંતાજનક માહિતી સામે આવી છે. હરિયાણા વિધાનસભામાં બુધવારે સરકારે ખુલાસો કર્યો છે કે, જાન્યુઆરી ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે લગભગ ૧૮,૦૦૦ લોકોના હાર્ટ એટેકથી અથવા હાર્ટ ફેલ્યોરથી મોત થઈ ગયા છે.

આમાં મૃતકોની ઉંમર ૧૮થી ૪૫ વર્ષ હતી. આ માહિતી રાજ્ય સરકારે કોંગ્રેસના એક ધારાસભ્યના સવાલના જવાબમાં આપી છે.
ધારાસભ્યએ સવાલ કર્યો હતો કે ૨૦૨૦થી અત્યાર સુધીમાં યુવાનોમાં હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોરથી થયેલા મૃત્યુ માટે વર્ષ-દર-વર્ષ અને જિલ્લાવાર આંકડા શું છે, અને શું સરકારે એ તપાસ કરી છે કે આ મૃત્યુનો કોવિડ-૧૯ અથવા કોવિડ-૧૯ વેક્સિનેશન સાથે કોઈ સબંધ છે? સરકારે સ્પષ્ટતા કરી કે, આવો કોઈ સર્વે કે સ્ટડી નથી.
રાજ્યમાં યુવાનોમાં હૃદય રોગ
જો કે, જિલ્લા સ્તરથી મળેલા ડેટાના આધાર પર મોતની સંખ્યા સામે આવી છે.સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં યુવાનોમાં હૃદય રોગને કારણે થયેલા મૃત્યુની વાર્ષિક વિગતો નીચે પ્રમાણે છે:
૨૦૨૦: ૨,૩૯૪ મોત
૨૦૨૧: ૩,૧૮૮ મોત
૨૦૨૨: ૨,૭૯૬ મોત
૨૦૨૩: ૨,૮૮૬ મોત
૨૦૨૪: ૩,૦૬૩ મોત
૨૦૨૫: ૩,૨૫૫ મોત
જાન્યુઆરી ૨૦૨૬માં: ૩૯૧ મોત
એકંદરે જાન્યુઆરી ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં કુલ ૧૭,૯૭૩ યુવાનોના મોત હાર્ટ એટેક અથવા હાર્ટ ફેઇલ્યોરથી થયા છે.
જિલ્લા સ્તર પર આંકડા : જિલ્લા સ્તરે પરિસ્થિતિમાં ઘણું અંતર જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે યમુનાનગર જિલ્લામાં દર વર્ષે મૃત્યુની સંખ્યા નીચે મુજબ રહી હતી.
૨૦૨૦: ૩૮૭
૨૦૨૧: ૪૬૧
૨૦૨૨: ૩૭૫
૨૦૨૩: ૩૭૮
૨૦૨૪: ૪૧૦
૨૦૨૫: ૩૮૯
બીજી તરફ રોહતક જિલ્લામાં આ સંખ્યા ઘણી ઓછી રહી છે: ૩૩, ૪૧, ૪૦, ૨૭, ૩૦ અને ૩૦. ગુરુગ્રામમાં વાર્ષિક મૃત્યુની સંખ્યા અનુક્રમે: ૧૧૩, ૧૦૫, ૧૧૬, ૧૧૪, ૯૩ અને ૮૩ રહી હતી. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક જિલ્લાઓમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુનો દર અન્ય જિલ્લાઓ કરતા ઘણો વધારે છે.
ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે એમ પણ કહ્યું કે, આ મૃત્યુ કોવિડ-૧૯ કે વેક્સિનેશન સાથે સંબંધિત છે કે નહીં તે જાણી નથી શકાયું, કારણ કે તેના પર કોઈ સ્ટડી કે સર્વે હાથ ધરવામાં નથી આવ્યો. નિષ્ણાતોનું માનવું છે કે, કોવિડ-૧૯ ઈન્ફેક્શન હૃદયને અસર કરી શકે છે, પરંતુ તેને સીધી રીતે મૃત્યુ સાથે જાેડાવા માટે સ્ટડીની જરૂર છે.
હરિયાણામાં હાર્ટ એટેકથી થતા મોત ચિંતાજનક છે. નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી જીવનશૈલી, તણાવ, આહાર, ધૂમ્રપાન અને દારૂનું સેવન તેનું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને સ્થૂળતા પણ જોખમનું કારણ હોઈ શકે છે.
યુવા વર્ગમાં હાર્ટ એટેકની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. લોકો ઘણીવાર પોતાની નાની ઉંમરને કારણે હૃદય સંબંધિત સમસ્યાઓને અવગણે છે, જોકે પ્રાથમિક તપાસ અને લાઈફસ્ટાઈલમાં ફેરફારથી તેને રોકી શકાય છે.
નિષ્ણાતો ભલામણ કરે છે કે, યુવાનોએ નિયમિત હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું નિરીક્ષણ કરવું જોઈએ અને સંતુલિત આહાર સાથે કસરત કરવી જોઈએ.