Last Updated on by Sampurna Samachar
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનુ નિવેદન
માનવીનાં પ્રાણ ખૂબ જ મૂલ્યવાન છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મતદાર યાદીમાં ચાલી રહેલા SIR માટે ચૂંટણી પંચની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યના મતુઆ બહુમતીવાળા વિસ્તારોના મતદારો જો નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ પોતાને વિદેશી જાહેર કરે છે તો તેમને તરત જ ડિલિસ્ટ કરી દેવામાં આવશે.

ઠાકુરનગર સુધી ત્રણ કિલોમીટર સુધીની રેલી અગાઉ લોકોને સંબોધતા મમતાએ વચન આપ્યું હતું કે જો બંગાળમાં તેમને પડકારવામાં આવશે તો સમગ્ર દેશમાં ભાજપના પાયાને હચમચાવી નાખવામાં આવશે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે માનવીનાં પ્રાણ ખૂબ જ મૂલ્યવાન છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે એસઆઇઆરના ભયથી આત્મહત્યા ન કરે. તેમણે દાવો કર્યો હતો કે વોટર રિવિઝન પ્રોસેસ અંગે ફેલાયેલા ભયને કારણે અગાઉ જ ૩૫-૩૬ મોત થઇ ગયા છે જેમાં આત્મહત્યા પણ સામેલ છે.
SIR પ્રક્રિયાને અવ્યવસ્થિત ગણાવી
SIR પ્રક્રિયાને અવ્યવસ્થિત ગણાવતા મમતાએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ યાદીઓ ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા સર્જાયેલી વિનાશક પરિસ્થિતિ દર્શાવશે. મુખ્યપ્રધાને આરોપ મૂક્યો હતો કે ચૂંટણી સંસ્થા ભાજપ કમિશનમાં ફેરવાઇ ગઇ છે જે દિલ્હીના સૂચનો પર કાર્ય કરી રહી છે અને તે એઆઇને હેરફેરના સાધન તરીકે ઉપયોગ કરશે.
તૃણમુલ સુપ્રીમોએ વધુમાં જણાવ્યું હતું કે જો SIR બે કે ત્રણ વર્ષમાં હાથ ધરવામાં આવશે તો તેઓ તેને ટેકો આપશે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે ૨૦૨૬ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા બે મહિનાની અંદર બળજબરીથી આ કવાયત ઉતાવળમાં શા માટે પૂર્ણ કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિહાર ચૂંટણી SIR નું પરિણામ હતું કારણ કે વિપક્ષ ત્યાં ભાજપની રમતનું મૂલ્યાંકન કરી શક્યુ ન હતું.