Last Updated on by Sampurna Samachar
બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદે ઔરંગઝેબની કબર હટાવવા કરી માંગ
સંભાજી મહારાજના હત્યારાની કલંકિત કબરની થઇ રહી છે પૂજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઔરગઝેબની કબરનો વિવાદ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે બજરંગ દળે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, ‘સરકાર સમય પહેલા ઔરંગઝેબની કબર હટાવી દે. જો સરકાર નહીં હટાવે તો કારસેવા કરીને તેને હટાવવામાં આવશે. બજરંગ દળના નેતા નિતિન મહાજને કહ્યું કે, ‘સંભાજીનગરમાં છત્રપતિ સંભાજી મહારાજના હત્યારાની કલંકિત કબર છે અને તેને પૂજવામાં આવી રહી છે, તે કબરને હટાવવામાં આવે.’

મહાજને કહ્યું કે, ‘સંભાજીનગરમાં કબરની પૂજા કરવામાં આવી રહી છે. સંભાજીની હત્યા કરનારની કબર બનાવવામાં આવી રહી છે. જ્યારે આવી કબરોની પૂજા કરવામાં આવે છે, ત્યારે સમાજનો વિકાસ પણ એ રીતે થાય છે.. તે સમયે આપણે લાચાર હતા, પરંતુ હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માંગ કરી રહ્યા છે કે તેને દૂર કરવામાં આવે. ૧૭ માર્ચે અમે સરકાર પાસે માંગ કરીશું કે, કબરને દૂર કરવામાં આવે. જો સરકાર તેને દૂર કરે તો અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ જો તેમ નહીં થાય, તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ રસ્તાઓ પર ઉતરી આવશે અને વિશાળ આંદોલન શરૂ કરશે’
બજરંગ દળ કારસેવા કરીને કબરને હટાવી દેશે
તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણે જાણીએ છીએ કે, જ્યારે હિન્દુ સમુદાય તેના અસ્તિત્વ અંગે આંદોલન કરે છે ત્યારે શું થાય છે, આપણે બધાએ જોયું કે બાબરી મસ્જિદને દૂર કરવા માટે અયોધ્યામાં શું થયું. જો સરકાર કબરને દૂર નહીં કરે, તો આપણે કારસેવા કરીશું. આ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને ગોશામહલના ધારાસભ્ય ટી.રાજા સિંહે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પત્ર લખીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબના જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ફાળવવામાં આવેલા અને ખર્ચવામાં આવેલા ભંડોળ અંગે વિગતવાર માહિતી માંગી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, ‘આવેદન આપ્યા બાદ અમે પછી જોઈશું કે, સરકાર શું વિચાર કરીને પગલા લે છે. જાે કબર હટાવવામાં નહીં આવે તો અમે પ્રજાને લઈને રસ્તા પર ઉતરી આંદોલન કરીશું. હિન્દુ સમાજ અસ્તિત્વ અને શૌર્ય માટે આંદોલન કરે છે. ઈતિહાસમાં લખાયું છે કે, હિન્દુ સમાજે અયોધ્યામાં વિવાદાસ્પદ બાબરી વિધ્વંસને પાડી દીધું હતું. અમે અમારું શૌર્ય દેખાડવા માંગીએ છીએ. જો સત્તા અમને મદદ નહીં કરે તો બજરંગ દળ કારસેવા કરીને કબરને હટાવી દેશે.’