Last Updated on by Sampurna Samachar
CBI એ તાજેતરમાં જ એક સ્પેશિયલ કોર્ટ દ્વારા જાહેર કરાયો
ભારત અને સ્વીડન બંનેને આંચકો આપ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે અમેરિકા પાસે રૂ. ૬૪ કરોડના બોફોર્સ કૌંભાંડ સંબંધિત મહત્ત્વની માહિતી માગતાં કોંગ્રેસ પાર્ટી પર ફરી પાછી મુશ્કેલીઓ વધવાનો સંકેત મળ્યો છે. ભારત સરકારના આ પગલાંથી રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સ્વીડન પાસેથી ૧૫૫ એમએમ ફિલ્ડ આર્ટિલરી ગનની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ ફરી શરૂ થઈ શકે છે.
મીડિયા સૂત્રો અનુસાર, CBI એ તાજેતરમાં જ એક સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલો પત્ર યુએસ ન્યાય વિભાગને મોકલ્યો હતો. આ પત્રમાં એજન્સીએ અમેરિકન પ્રાઈવેટ ડિટેક્ટીવ કંપની ફેરફેક્સના વડા માઈકલ હર્શમેન સાથે જોડાયેલી માહિતી માંગી છે.
હર્શમેને ૨૦૧૭માં દાવો કર્યો હતો કે, ‘જ્યારે મેં સ્વિસ બેન્ક ખાતામાં મોન્ટ બ્લેન્કનો પદાર્ફાશ કર્યો હતો, ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી ગુસ્સે થયા હતા. તેમાં બોફોર્સ ડીલના લાંચના નાણાં આ ખાતામાં કથિત રીતે જમા કરવામાં આવ્યા હતા. મારી તપાસમાં તે સમયની સરકારે અડચણો ઉભી કરી હતી.‘ જેથી સીબીઆઈએ હર્શમેનની આ તપાસનો રિપોર્ટ અમેરિકા પાસે માંગ્યો છે.
CBI એ પહેલીવાર ઓક્ટોબર ૨૦૨૪ માં દિલ્હી કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેને યુએસ સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. હર્શમેન ભારતીય એજન્સીઓને સહકાર આપવા માટે સંમત થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે, આ માંગ કરતો અરજી પત્ર એક ઔપચારિક લેખિત વિનંતી છે, જે એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને ફોજદારી કેસની તપાસમાં મદદ મેળવવા માટે મોકલે છે. બોફોર્સ કૌભાંડનો પદાર્ફાશ સ્વીડિશ રેડિયો દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૮૯ની ચૂંટણીમાં રાજીવ ગાંધીની હારનું તે એક મોટું કારણ બન્યું હતું.
જોકે દિલ્હી હાઈકોર્ટે ૨૦૦૪માં પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ લાંચના આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ આ કૌભાંડ સાથે જોડાયેલા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ઇટાલિયન ઉદ્યોગપતિ ઓટ્ટાવિયો ક્વાટ્રોચીની પણ આમાં શંકાસ્પદ ભૂમિકા હતી, જેઓ રાજીવ ગાંધી સરકારમાં ખૂબ જ પ્રભાવશાળી હતા. તપાસ દરમિયાન ક્વાટ્રોચીને ભારત છોડવાની મંજૂરી આપવામાં આવી હતી અને તે મલેશિયા ફરાર થયા હતાં.
તે સમયની આપ સરકારે બ્રિટનમાં તેમના બેન્ક ખાતાઓમાંથી લાખો ડોલર ઉપાડ્યા હોવાની વાતને નકારી હતી. ત્યારે ક્વાટ્રોચી પર ફરીથી ધ્યાન કેન્દ્રિત થયું હતું. ૧૯૮૭માં સ્વીડિશ પબ્લિક બ્રોડકાસ્ટરે આ બોફોર્સ કૌભાંડનો ખુલાસો કરી ભારત અને સ્વીડન બંનેને આંચકો આપ્યો હતો. તેણે હોવિત્ઝર ડીલમાં લાંચ અપાઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
CBI એ આ કેસમાં ૧૯૯૦માં ફરિયાદ નોંધી હતી અને ૧૯૯૯ અને ૨૦૦૦માં ચાર્જશીટ દાખલ કરી હતી. રાજીવ ગાંધીને નિદોર્ષ જાહેર કર્યા બાદ સ્પેશિયલ કોર્ટે હિન્દુજા બંધુઓ સહિત અન્ય આરોપીઓ સામેના તમામ આરોપો રદ કરી દીધા હતા. ક્વાટ્રોચીને પણ ૨૦૧૧ માં નિદોર્ષ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે CBI ની અરજીને માન્ય રાખી અને તેની સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી પાછી ખેંચી લીધી હતી.