Last Updated on by Sampurna Samachar
એપ્રિલમાં લેવાની પરીક્ષા માર્ચમાં લઇ લેતા હોબાળો
યુનિવર્સિટીએ હવે ૧૯ એપ્રિલે પરીક્ષા લેવાનો લીધો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા BSC માઈક્રોબાયોલોજી સેમ-૬ની પરિક્ષા ૨૭ મી માર્ચના બદલે બીજી એપ્રિલે લેવાની હતી. પરંતુ અણીતા ગામ નજીક આવેલી વિદ્યાદીપ કોલેજના સંચાલકોએ છબરડો વાળીને ૨૭ મી માર્ચે જ પરીક્ષા લઈ લીધી હતી. આ છબરડો યુનિવર્સિટીના ધ્યાને આવતા ફરીથી ૧૯ મી એપ્રિલના રોજ પરીક્ષા લેવાનો ર્નિણય લીધો છે.
મળતી માહિતી મુજબ વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન ૨૭ મી માર્ચે સેન્ટ્રલ એલીજીબલ ટેસ્ટની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓએ એવી માંગ કરી હતી કે, ૨૭મી માર્ચની પરીક્ષાની તારીખ લંબાવી આપવામાં આવે. વિદ્યાર્થીઓની માંગના પગલે યુનિવર્સિટીએ પરીક્ષા લંબાવીને બીજી એપ્રિલ કરી દીધી હતી. જે અંગે સત્તાવાર યુનિવર્સિટીની વેબસાઈટ પર પરિપત્ર પણ કરાયો હતો. આ પરિપત્ર છતાં અણીતાની વિદ્યાદીપ કોલેજના સંચાલકોએ BSC માઈક્રોબાયોલોજી સેમ-૬ ની પરીક્ષા બીજી એપ્રિલના બદલે ૨૭ મી માર્ચે જ લઈને ભારે છબરડો વાળ્યો હતો.
ફરીથી લેવાશે પરીક્ષા
આ છબરડા અંગે તાજેતરમાં જ નર્મદ યુનિવર્સિટીના ધ્યાને આ વાત આવી હતી. આ અંગે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. એન. ચાવડાના જણાવ્યા અનુસાર, કોલેજના છબરડાના કારણે BSC માઈક્રોબાયોલોજી સેમ-૬ની પરીક્ષા ફરીવાર લેવાશે. આગામી ૧૯મી એપ્રિલે તમામ કોલેજોમાં આ પરીક્ષા લેવાશે.