Last Updated on by Sampurna Samachar
સરખેજ, ગ્યાસપુર અને ફતેહવાડીમાં જળ સંકટ સર્જાયું
હાઈકોર્ટમાં પાણી મુદ્દે જાહેરહિતની અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વની જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. સરકારની મહત્વકાંક્ષી ‘નલ સે જલ‘ યોજના હેઠળ દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં ગ્યાસપુર, સરખેજ, મકતમપુર અને ફતેહવાડી જેવા શહેરી વિસ્તારોમાં હજુ પણ પાણીનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે કે વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે હજારો નાગરિકો પાયાની જરૂરિયાત સમાન પાણીથી વંચિત રહી ગયા છે.

અરજદાર દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે યોજનાના અમલીકરણમાં થતી બેદરકારીને કારણે સ્થાનિક રહીશોને ટેન્કરો પર ર્નિભર રહેવું પડે છે અથવા દૂષિત પાણીનો સામનો કરવો પડે છે.
આ ગંભીર મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે
આ મામલે યોગ્ય તપાસ કરી સત્વરે પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. નામદાર હાઈકોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી છે અને આગામી દિવસોમાં આ ગંભીર મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર અને સ્થાનિક કોર્પોરેશન પાસેથી જવાબ માંગવામાં આવી શકે છે.