Last Updated on by Sampurna Samachar
પોલીસે કુલ ૮૮ શખસો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી
આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોધરામાં પશ્ચિમ વિસ્તારના એક સમુદાયના લોકોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે કુલ ૮૮ શખસો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી ૨૧ જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે પોલીસ મથક પર ધમાલ મચાવનારા આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. આ ઈન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકે, જેથી શાંતિ જળવાઈ રહે. ઈન્ફ્લુએન્સર દ્વારા આ અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ કે પોલીસ તેને આ જ કારણસર બોલાવી રહી છે.
ઓપરેશન હાથ ધરીને ૨૧ શખસોને ઝડપી પાડ્યા
આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પાસે એકત્ર થઈ ગયું. પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસ ચોકી નંબર ૪ પાસે તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં રહેલી ખુરશીઓ અને અન્ય સામાન બહાર ગટરમાં ફેંકી દીધો હતો.
આ ઘટના બાદ પંચમહાલ પોલીસ સક્રિય થઈ અને રાત્રિ દરમિયાન જ ઓપરેશન હાથ ધરીને ૨૧ શખસોને ઝડપી પાડ્યા હતા. ત્યારે શહેરીજનોને નવરાત્રિ દરમિયાન સુરક્ષાનો અહેસાસ થાય એવા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.