સૌરાષ્ટ્રમાં મેઘરાજાના આગમનથી જન જીવન ખોરવાયું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સૌથી વધુ ગઢડામાં ૧૪ ઇંચ, પાલીતાણામાં ૧૨ ઇંચ, સિહોરમાં ૧૧.૬ ઇંચ

ડેમ ૧૦૦% ભરાતા આસપાસના ગામોને એલર્ટ કરાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. મોડી રાત્રે ૨ થી ૪ વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં ૪ ઈંચ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૧ તાલુકામાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. આ પૈકી સૌથી વધુ ગઢડામાં ૧૪ ઇંચ, પાલીતાણામાં ૧૨ ઇંચ, સિહોરમાં ૧૧.૬ ઇંચ, બોટાદમાં ૧૧ ઇંચ , ઉમરાળામાં ૧૦.૪ ઇંચ, જેસરમાં ૧૧ ઈંચ, મહુવામાં ૯ ઈંચ અને રાજુલામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદના પગલે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ૧૦૦ % ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાંને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ અમરેલીના ૫ ડેમ થયા ઓવરફ્લો થયા છે. ધાતરવાડી ડેમના તમામ ૧૬ દરવાજા ત્રણ-ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. પાણી છોડતા પહેલા સાયરન વગાડીને નીચાણવાળા અને નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સિઝનના પ્રથમ ભારે વરસાદમાં જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.

શાળાઓ બંધ રાખવાનો ર્નિણય લેવાયો

ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો ર્નિણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને શાળાઓ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.

ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે તમામ શાળાઓમાં (જેમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને ધોરણ ૧૨ સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે.

ભૂતિયા ગામ નજીક ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો કોઝવે તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની જૂની પાઈપલાઈન પણ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે.

નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાઓને ઍલર્ટ કરી દેવાયા છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.