Last Updated on by Sampurna Samachar
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કઠોર શિયાળાનો અનુભવ
આવતાં 3 મહિના સુધી કાશ્મીર કરશે ઠંડીની આફતનો સામનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પર્વતોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી ગઈ છે. ઉત્તર ભારતમાં કઠોર શિયાળો આવી ગયો છે. ઘણાં વિસ્તારોમાં હિમવર્ષા અને તેની અસર જોવા મળી રહી છે. તે દરમિયાન, કાશ્મીરમાં, ચિલ્લા-એ-કલાનનો કઠોર શિયાળો ૨૧ ડિસેમ્બરથી શરૂ થાય છે. તે ૪૦ દિવસ સુધી ચાલશે, અને આ સમય દરમિયાન, નદીઓ અને ધોધ પણ થીજી જાય છે.

કાશ્મીર ઘાટીમાં ૨૧ ડિસેમ્બરથી ચિલ્લઈ કલાની શરૂઆત થઈ જાય છે. જે હવે જાન્યુઆરીના અંતમાં સમાપ્ત થશે. ૪૦ દિવસ સુધી ચાલનાર ચિલ્લઈ કલા ભયંકર ઠંડીવાળો સમય માનવામાં આવે છે. ચિલ્લાઈ કલા દરમિયાન કાશ્મીર ઘાટીમાં બધુ જામી જાય તેવી ઠંડી પડે છે. આ દરિમયાન ઘાટીમાં તમામ જળ સ્ત્રોત પૂર્ણ રીતે ઠરી જાય છે.
કાશ્મીરનાં શિયાળો ત્રણ ભાગમાં વહેંચાયેલ
કાશ્મીર ઘાટી હાલ આ જ ચિલ્લઈ કલાનો સામનો કરી રહી છે. આ એ સમય હોય છે, જેમાં સૌથી વધુ હિમપાત થાય છે. આ સમય દરમિયાન ગુલમર્ગમાં ઠંડીવાળી રમતો પણ રમાય છે. ૪૦ દિવસની ભીષણ ઠંડી ચિલ્લઈ કલા બાદ ૨૦ દિવસ લાંબી ચિલ્લઈ ખુર્દ આવશે. અને પછી ૧૦ દિવસ ચાલનાર ચિલ્લઈ બચ્ચા આવશે. કલા મતલબ મોટો અને ખુર્દનો મતલબ નાનો એમ થાય છે. કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી ત્રણ મહિના સુધી ચાલે છે.
આ ઠંડીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. ચિલ્લઈ કલા, ચિલ્લઈ ખુર્દ અને ચિલ્લઈ બચ્ચા. ચિલ્લાઈ કલા ૪૦ દિવસનો સમયગાળો હોય છે. જે ૨૧ ડિસેમ્બરથી શરૂ થાય છે અને ૩૧ જાન્યુઆરી સુધી રહે છે. ચિલ્લાઈ કલા બાદ ચિલ્લઈ ખુર્દ આવે છે. જેને કલા કરતા ઓછી ઠંડી કહેવાય છે. આ સમયગાળો ૨૦ દિવસનો હોય છે. જે જાન્યુઆરી ૩૧ થી ફેબ્રુઆરી ૧૯ સુધી રહે છે. ત્યારબાદ ચિલ્લાઈ બચ્ચાને બેબી ઠંડી કહેવાય છે. જે ફેબ્રુઆરી ૨૦ થી માર્ચ ૨૨ સુધી રહે છે.
પર્શિયન પરંપરાની રસપ્રદ માહિતી મુજબ, ૨૧ ડિસેમબરની રાતને શબ-એ-યાલ્દા ‘નાઈટ ઓફ બર્થ’ અથવા ‘શબ-એ-ચેલ્લે’ના રૂપમાં ઉજવવામાં આવે છે. એટલે કે ચાળીસ દિવસની રાત. ઈરાની અજરબૈજિનિઓ તેને ચીલા ગીજાસી કહે છે, જે ઠંડીના પહેલા ૪૦ દિવસોની શરૂઆતનું પ્રતિક છે. ઈરાની પરંપરા કાશ્મીરમાં પણ બચેલી છે. જ્યાં ચિલ્લાઈ કલા ૪૦ દિવસની કાતિલ ઠંડીને કહેવામાં આવે છે.
ચિલ્લાઈ કલા દરમિયાન કાશ્મીર વેલીનું વાતાવરણ અતિ ઠંડુ અને ડ્રાય બની જાય છે. ઠંડી એટલી પડી જાય છે કે, બધુ જ જામી જાય છે. ચિલ્લાઈ કલામાં સ્નોફોલ થવાની શક્યતા મેક્સિમમ રહેલી છે. આ ૪૦ દિવસના સમયગળામાં બરફ જામી જાય છે, અને લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે છે. આ બરફ ઘાટીને ગ્લેશિયર્સ સાથે જોડે છે અને કાશ્મીરમાં નદીઓ, સરોવર અને બારમાસી જળાશયો માટે ગરમીમાં ચાલે તેટલું પાણી એકઠુ થઈ જાય છે. ચિલ્લઈ કલા બાદ બરફવર્ષા થતી નથી.
પહેલાના સમયમાં અનેક પરિવારો ચિલ્લઈ કલાના પહેલા દિવસે શેબડેગ બનાવતા હતા. ડિસેમ્બર ૨૦-૨૧ની રાતે માટીના એક વાસણમાં શલજમ અને મસાલાની સાથે તેને પકાવવામાં આવતુ હતું. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે.