Last Updated on by Sampurna Samachar
આંગણવાડીની બહેનો કરશે શ્વાનોની ગણતરી, પાંચ દિવસમાં ગણતરી કરવા આદેશ
આમાં શાળા, કોલેજ, એસટી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોનો સમાવેશ થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં આંગણવાડી સંચાલકોને નવી સોંપાયેલી જવાબદારીને લઈને વિવાદ ઊભો થયો છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવે આંગણવાડી કાર્યકર બહેનોને પોતાના નિયમિત કાર્ય ઉપરાંત શ્વાનોની ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ર્નિણય સામે કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે અને આ મુદ્દે ચર્ચા તેજ બની છે.

પરિપત્ર અનુસાર, આંગણવાડી કાર્યકરોને માત્ર પાંચ દિવસના ગાળામાં પોતાના વિસ્તાર હેઠળ આવતા વિવિધ સ્થળોએ જઈને શ્વાનોની સંખ્યા નોંધવાની રહેશે. આમાં શાળા, કોલેજ, એસટી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોનો સમાવેશ થાય છે. ઉપરાંત, હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય જાહેર સંસ્થાઓમાં પણ શ્વાનોની ગણતરી કરવાની ફરજ સોંપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ કરીને તંત્રને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે.
ર્નિણય પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠી
આંગણવાડી કાર્યકરોનો મુખ્ય કાર્ય નાના બાળકોના પોષણ, પ્રાથમિક શિક્ષણ અને સગર્ભા તથા ધાત્રી મહિલાઓની સંભાળ સાથે જોડાયેલો હોય છે. તેઓ ગામડાં અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને પોષણ સેવાઓનું મહત્વપૂર્ણ કામ કરે છે. આવી સ્થિતિમાં તેમને શ્વાનોની ગણતરી જેવી વધારાની જવાબદારી સોંપાતા તેઓમાં નારાજગી અને તણાવ જોવા મળી રહ્યો છે.
કાર્યકર બહેનોનું કહેવું છે કે, પહેલાથી જ તેમની ઉપર અનેક પ્રકારની જવાબદારીઓ છે, જેમાં રજિસ્ટર જાળવવું, આરોગ્ય સંબંધિત માહિતી એકત્રિત કરવી અને સરકારી યોજનાઓનો અમલ કરવો જેવી ફરજો સામેલ છે. હવે આ સાથે શ્વાનોની ગણતરીનો ભાર ઉમેરાતા મૂળ કામગીરી પર અસર થવાની ભીતિ છે. પાંચ દિવસના ટૂંકા સમયગાળામાં આટલી વિશાળ કામગીરી પૂર્ણ કરવી પણ પ્રાયોગિક રીતે મુશ્કેલ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
કેટલાક કાર્યકરોનું માનવું છે કે શ્વાનોની ગણતરી જેવી કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા, પંચાયત અથવા પશુપાલન વિભાગની ટીમો જવાબદાર હોવી જોઈએ. આંગણવાડી કાર્યકરોને આ પ્રકારના કામમાં જોડવાથી તેમની પ્રાથમિક સેવાઓમાં ખલેલ પહોંચી શકે છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓને મળતી સેવાઓ પર તેનો સીધો પ્રભાવ પડી શકે છે.
બીજી તરફ, તંત્રનું માનવું છે કે રાજ્યમાં વધતા ભટકતા શ્વાનોના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આ સર્વે જરૂરી છે. ચોક્કસ માહિતીના અભાવે યોગ્ય આયોજન કરવું મુશ્કેલ બને છે, તેથી આંગણવાડી નેટવર્કનો ઉપયોગ કરીને ઝડપી માહિતી એકત્રિત કરવાની યોજના બનાવવામાં આવી છે.
હાલમાં આ મુદ્દે ઉચ્ચ સ્તરે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ કાર્યકરોમાં વધતા અસંતોષને કારણે આ ર્નિણય પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર આંગણવાડી અને આશા વર્કરો પર વધતા કામના ભાર અંગે ચર્ચા જગાવી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું ર્નિણય લે છે અને કાર્યકરોની ચિંતાઓને કેટલું મહત્વ આપે છે.