Last Updated on by Sampurna Samachar
તિલકવાડામાં માત્ર ૧૦ રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા
આરોપીએ મૃતકને રસ્તા પર પટકી, ગળા પર પગ મૂકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાદરવા ગામે માત્ર ૧૦ રૂપિયાની નજીવી કિંમત ન આપતા એક યુવકે પેરાલિસિસથી પીડાતા વ્યક્તિની હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ મૃતકને રસ્તા પર પટકી, ગળા પર પગ મૂકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, તિલકવાડાના ભાદરવા ગામે રહેતા ૪૧ વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવી પેરાલિસિસની બીમારીથી પીડાતા હોવા છતાં માંડ-માંડ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. રાજેશ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનેથી ઘરનો સામાન લઈને ધીમે પગલે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ધર્મેન્દ્ર ગણપતભાઈ તડવી નામનો યુવાન રાજેશની પાસે આવ્યો હતો અને ૧૦ રૂપિયાની માંગણી કરી હતી.
ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા
રાજેશે રૂપિયા આપવાની ના પાડતા જ ધર્મેન્દ્ર જાણે શૈતાન બની ગયો હતો. તેણે પેરાલિસિસગ્રસ્ત રાજેશને જાેરથી ધક્કો મારી આર.સી.સી. રોડ પર પાડી દીધા હતા. ત્યારબાદ બેરહેમી પૂર્વક તેમની છાતી અને ગળાના ભાગે લાતો મારી હતી. આ પછી આરોપીએ પીડિતના ગળા પર પોતાનો પગ મૂકી અને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતા જ તિલકવાડા પી.આઈ. અને તેમની ટીમ તત્કાલ ભાદરવા ગામે દોડી ગઈ હતી. મૃતકના પરિવારમાં આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી ધર્મેન્દ્ર તડવીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.