Last Updated on by Sampurna Samachar
યુવકની છાતી પર બેસી સીધી કાળજામાં તલવાર ઘૂસાડી
મેરઠમાં ગામના પ્રમુખના બે નાના ભાઈઓની સામાન્ય બોલાચાલી પર તલવાર અને છરીથી હત્યા કરી દેવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૈસાની લેણદેણ ક્યારેક જીવલેણ બની જાય છે. હજારો-લાખો રૂપિયાની લેતીદેતી જ્યારે સામાન્ય બોલાચાલીમાં ફેરવાઈ જાય ત્યારે તેનો અંત લોહિયાણ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ એક એવી જ ઘટના બની છે. મેરઠના મહેરમતી ગણેશપુર ગામના પ્રધાનના બે નાના ભાઈઓની સામાન્ય બોલાચાલી બાદ તલવાર અને છરીથી હત્યા કરી દેવામાં આવી. બંને પક્ષોમાં લગભગ ૧ કલાક સુધી લાકડી-ડંડા અને ધારદાર હથિયારો વડે મારામારી ચાલી હતી, જેમાં લગભગ ૬ લોકો ઘાયલ થયા છે. પોલીસે ૩ આરોપીઓને પકડી લીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે, માત્ર ૧૦૦૦ રૂપિયાની લેતી-દેતીમાં આ સમગ્ર વિવાદ થયો હતો.
![]()
ઈદના દિવસે થયેલો ખૂની સંઘર્ષ હૃદયદ્રાવક બન્યો હતો. ભત્રીજા સલમાન સાથે થયેલા ઝઘડામાં વચ્ચે પડવા આવેલા ભૂરા અને સહીમુદ્દીન પર આરોપીઓએ પહેલા લાકડી-ડંડાથી હુમલો કર્યો. ત્યારબાદ બંનેને જમીન પર પાડીને આરોપીઓએ ક્રૂરતાની હદ પાર કરી દીધી હતી. આરોપીઓએ ભૂરાની છાતી પર બેસીને તેના દિલમાં તલવાર ઘૂસે઼ડી દીધી હતી. જ્યારે સહીમુદ્દીનના પેટમાં બંને બાજુ છરીથી સતત ઘા માર્યા હતા.
બંને ભાઈઓ લોહીલુહાણ થઈ જમીન પર તડપતા રહ્યા
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, સહીમુદ્દીનના પેટમાં બંને બાજુથી છરીઓ ઘૂસેડી દેવામાં આવી હતી. હુમલો એટલો ઝડપી અને અચાનક થયો કે ભૂરા અને સહીમુદ્દીનને બચીને ભાગવાનો મોકો પણ મળ્યો નહોતો. બંને ભાઈઓ લોહીલુહાણ થઈ જમીન પર તડપતા રહ્યા હતા. ભૂરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સહીમુદ્દીનને CHC સરધનાથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
ત્યાં સારવાર દરમિયાન સહીમુદ્દીને પણ દમ તોડ્યો હતો. બંને સગા ભાઈઓના મોતની ખબર મળતાં જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. આખા ગામમાં શોક અને સન્નાટો છવાઈ ગયો હતો. જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તણાવભરી સ્થિતિને જાેતા ગામમાં પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું હતું.
મહેરમતી ગણેશપુર ગામમાં થયેલા ડબલ મર્ડરનું કારણ પણ પાંચ વર્ષ જૂની દુશ્મનાવટ માનવામાં આવી રહ્યું છે. ગામલોકોનું કહેવું છે કે, બંને ભાઈઓ પર છરીથી સતત હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી છે. એક ષડયંત્ર રચીને આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ગામલોકોએ જણાવ્યું હતું કે, લગભગ પાંચ વર્ષ પહેલા ભૂરાનું ચુન્નુ અને તેના કાકાઈ ભાઈ રહીશના પુત્ર બસીર સાથે જુગાર રમવા મામલે ઝઘડો થયો હતો. ત્યારે ભૂરાએ મારમારી કરી હતી. આરોપ છે કે, એ સમયે રહીશે બદલો લેવાની કસમ ખાધી હતી.
ઈદના દિવસે સવારે જ ભૂરા અને સહીમુદ્દીનના ઘરમાં ખુશીઓનો માહોલ હતો, પરંતુ સાંજ પડતાં જ આ ખુશીઓનું વાતાવરણ અચાનક શોકમાં ફેરવાઈ ગયું હતું. એક નાનકડા વિવાદમાં થયેલી ખૂની ઘટનાએ ભૂરા અને સહીમુદ્દીનનો જીવ લઈ લીધો હતો. તેમના મોતના સમાચાર પરિવારજનો સુધી પહોંચતાં જ બંને ઘરમાં હાહાકાર મચી ગયો હતો. થોડા સમય પહેલા જ્યાં ઈદની ખુશીઓ મનાઈ રહી હતી, ત્યાં હવે રોકકળનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
માત્ર એક હજાર રૂપિયાના વિવાદે બે પરિવારની ખુશીઓ છીનવી લીધી. ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોના મોટા ભાઈ અને ગામના સરપંચ સઈદે જણાવ્યું કે, તેમના ભત્રીજા તૌહિદ અને ચુન્નૂના પુત્ર ઇરશાદ વચ્ચે એક હજાર રૂપિયાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તૌહિદે ઇરશાદને રૂપિયા આપવાના હતા, એ વાતને લઈને શનિવારે સાંજે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પહેલા લોકોએ વચ્ચે પડીને મામલો શાંત કર્યો હતો, પણ થોડા સમય પછી ફરી બંને પક્ષો સામસામે આવી ગયા અને વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું.
આ મામલે એસપી દેહાત અભિજીત કુમારે જણાવ્યું કે, મહેરમતી ગામમાં એક જ સમુદાયના બે પક્ષો વચ્ચે લેણદેણના વિવાદને લઈને ઝપાઝપી થઈ હતી. ચાકૂ અને ધારદાર હથિયારો વડે હુમલો કરીને બે ભાઈઓની હત્યા કરવામાં આવી છે. પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે હાજર છે. કેસ નોંધાઈ ચૂક્યો છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.