Last Updated on by Sampurna Samachar
GST દર ઘટાડાના મુદ્દે વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું
આ ભારતની વિકાસ ગાથાને નવી ગતિ આપશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST દર ઘટાડાના મુદ્દા પર જનતાને ગેરમાર્ગે દોરવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટૂથપેસ્ટથી લઈને ટ્રેક્ટર સુધીના ભાવ પર લોકો માટે કરનો બોજ ઘટાડવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન “કર લૂંટ” થઈ હતી અને લોકો પર ભારે કરનો બોજ હતો.

ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી પેઢીના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે આ એક “માળખાકીય પરિવર્તન” છે. “આ ભારતની વિકાસ ગાથાને નવી ગતિ આપશે,” તેમણે કહ્યું આ સુધારાઓ GST નોંધણીને સરળ બનાવશે, કર વિવાદો ઘટાડશે અને MSME માટે રિફંડ ઝડપી બનાવશે, જેનાથી દરેક ક્ષેત્રને ફાયદો થશે.
ભારતને આર્ત્મનિભર બનાવવું જ પડશે
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, “આમ છતાં, કેટલાક રાજકીય પક્ષો દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જેઓ ૨૦૧૪ પહેલા સત્તામાં હતા તેઓ તેમની સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે જનતાને ખોટું બોલી રહ્યા છે.” PM મોદીએ કહ્યું, “સત્ય એ છે કે કોંગ્રેસ સરકારો દરમિયાન, કર દ્વારા મોટા પાયે લૂંટ કરવામાં આવી હતી અને લૂંટાયેલા પૈસા વધુ લૂંટવામાં આવ્યા હતા. દેશનો સામાન્ય નાગરિક કરના બોજથી પીડાઈ રહ્યો હતો.”
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારે કરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, ફુગાવાને નિયંત્રિત કર્યો છે અને આવક અને બચત બંનેમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે રૂપિયા૧૨ લાખ સુધીની આવકને કરમાંથી મુક્તિ આપીને અને નવા GST સુધારાઓ લાગુ કરીને નાગરિકો ફક્ત આ વર્ષે જ રૂ.૨.૫ લાખ કરોડ બચાવશે. પીએમ મોદીએ કહ્યું કે દેશ GST બચત ઉત્સવ ઉજવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે GST ના હિસ્સેદારોએ ત્રણ અલગ અલગ તબક્કા જોયા છે GST પહેલા, GST પછી, અને હવે આગામી પેઢીના GST સુધારા. આ સમયગાળા દરમિયાન, GST માળખામાં નોંધપાત્ર ફેરફારો થયા છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલા, ઊંચા કરના બોજને કારણે વ્યવસાયિક ખર્ચ અને ઘરગથ્થુ બજેટ બંનેનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ૨૦૧૪ પહેલા, રૂ.૧,૦૦૦ ની કિંમતના શર્ટ પર આશરે રૂપિયા૧૭૦ નો કર લાગતો હતો. ૨૦૧૭ માં GST લાગુ થયા પછી, આ કર ઘટાડીને ૫૦ કરવામાં આવ્યો હતો. ૨૨ સપ્ટેમ્બરથી સુધારેલા દરો અમલમાં આવતા વ્યક્તિઓએ હવે રૂ.૧,૦૦૦ ના શર્ટ પર ફક્ત રૂ.૩૫ નો કર ચૂકવવો પડશે.
પીએમ મોદીએ સ્વદેશી પર ભાર આપતાં કહ્યું કે, ભારતને આર્ત્મનિભર બનાવવું જ પડશે. દરેક એવી પ્રોડક્ટ જે આપણે ભારતમાં બનાવી શકીએ, તે આપણે ભારતમાં જ બનાવવી છે. તેમણે કહ્યું કે ભારતમાં અમે એક વાઇબ્રન્ટ ડિફેન્સ સેક્ટર વિકસાવી રહ્યા છીએ. દરેક પાર્ટ્સ પર મેડ ઇન ઇન્ડિયાની છાપ હોય, એવી અમે ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ.