Last Updated on by Sampurna Samachar
અગરિયાઓને અંદાજિત ૨ કરોડથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરના મીઠાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા નુકસાન થયું છે. જેને લઇ અગરિયાઓએ સહાય માટે સરકાર પાસે માંગ કરી છે. નર્મદા વિભાગની બેદરકારીના કારણે મીઠાના રણમાં કેનાલનું પાણી ભરાઇ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લગભગ ૪૫ કિલોમીટરના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. અગરિયાઓને અંદાજિત ૨ કરોડથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. જેથી મીઠાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. મહત્વનું છે કે અગરિયાઓએ વહીવટીતંત્ર સમક્ષ માંગ કરી છે કે નર્મદા કેનાલનું ઓવરફ્લો થતું પાણી બંધ કરવામાં આવે. તેમજ નુકસાની અંગે તાત્કાલિક વળતર આપવામાં આવે.

બીજી તરફ સુરેન્દ્રનગરના ખેડૂતોની પણ કંઈક આવી જ સ્થિતિ છે. સુરેન્દ્રનગરમાં આશરે ૧ લાખ હેક્ટર જમીનમાં ઉગાડવામાં આવેલો જીરુનો પાક બગડ્યો છે. જીરુનું વાવેતર બળી જતા ખેડૂતો પાયમાલ થયા છે. પ્રતિમણ ૧૮ હજારના ભાવે બિયારણ ખરીદી કરીને વાવેતર કરવામાં આવ્યું હતુ. માવઠું થતા પાક બગડ્યો હોવાથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.