Last Updated on by Sampurna Samachar
સુરેન્દ્ર કોલી પર કુલ ૧૩ મામલે કેસ ચાલી રહ્યા હતા
આરોપીને એક કેસમાં સજા આપવી ન્યાયની વિરૂદ્ધમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
નિઠારી કાંડના સૌથી ચર્ચિત આરોપી સુરેન્દ્ર કોલીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કર્વેટિવ પિટિશનનો સ્વીકાર કરતા તેની અંતિમ સજા રદી કરી દીધી અને તેને સંપૂર્ણ રીતે દોષ મુક્ત જાહેર કરી દીધો છે. આ કેસ ૨૦૦૫-૨૦૦૭ વચ્ચે નોઇડાના નિઠારી વિસ્તારમાં બાળકીઓની સામૂહિક હત્યા સાથે જોડાયેલો છે, જેણે આખા દેશને ચોંકાવી દીધો હતો.

સુરેન્દ્ર કોલી પર કુલ ૧૩ મામલે કેસ ચાલી રહ્યા હતા. જેમાંથી ૧૨ કેસમાં તે પહેલા જ અલ્હાબાદ હાઇકોર્ટથી મુક્ત થઈ ચુક્યો હતો. પરંતુ, એક કેસમાં તેની સજા યથાવત રહી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે, એક જ પુરાવા અને તથ્યના આધારે ૧૨ કેસમાં મુક્ત થઈ ચુકેલા આરોપીને એક કેસમાં સજા આપવી ન્યાયની વિરૂદ્ધમાં છે.
પોલીસ દ્વારા કુલ ૧૯ FIR નોંધવામાં આવી
સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોલીને ૧૫ વર્ષીય બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં સામે આવેલા પુરાવાને કમજાર માનીને કહ્યું કે, ગુનો સુદ્ધ નથી થઈ શક્યો. કોર્ટે તેને કોઈ અન્ય કેસમાં કેદ ન હોય તો તેને તુરંત મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, સુરેન્દ્ર કોલી લગભગ ૧૯ વર્ષથી જેલમાં છે. તેની કર્વેટિવ પિટિશને સુનાવણી જાહેર અદાલતમાં થઈ, જે ઘણા કિસ્સાઓમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ચુકાદાથી નિઠારી કેસમાં તેની સામેના અંતિમ કેસનો અંત આવ્યો. કોર્ટે જણાવ્યું કે, કર્વેટિવ પિટિશન એ સિસ્ટમમાં થયેલી ભૂલ સુધારવા અને ન્યાય સુનિશ્ચિત કરવાની છેલ્લી તક છે.
નિઠારી હત્યાકાંડ ૨૯ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે નોઇડામાં ઉદ્યોગપતિ મોનિન્દર સિંહ પંઢેરના ઘરની પાછળની ગટરમાંથી આઠ બાળકોના હાડપિંજરના અવશેષો મળી આવ્યા હતા. કોળી પંઢેરના ઘરે નોકર તરીકે કામ કરતો હતો. વધુ તપાસમાં પંઢેરના ઘરની આસપાસથી વધુ હાડપિંજર મળી આવ્યા હતા.
જેમાંથી મોટાભાગના ગરીબ બાળકો અને યુવતીઓના હતા જેઓ વિસ્તારમાંથી ગુમ થઈ ગયા હતા. પંઢેર અને કોળી પર બાળકો અને મહિલાઓનું અપહરણ, બળાત્કાર, નરભક્ષણ અને મૃતદેહોને ગટરમાં ફેંકવાના આરોપો લાગ્યા હતા.
ઓક્ટોબર ૨૦૨૩માં, અલ્હાબાદ હાઈકોર્ટે કોળીને ૧૨ કેસોમાં અને પંઢેરને બે કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા, જોકે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ૧૪ વર્ષની સગીરાના મૃત્યુ સંબંધિત એક કેસમાં સીબીઆઈ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા. જોકે, અપીલમાં હાઈકોર્ટે પંઢેરને નિર્દોષ જાહેર કર્યા, પરંતુ કોળીની મૃત્યુદંડની સજા યથાવત રાખી.
જાન્યુઆરી ૨૦૧૫માં અલ્હાબાદ હાઇકોર્ટે આ જ કેસમાં દયા અરજીના નિકાલમાં અસાધારણ વિલંબને ટાંકીને કોલીની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. સીબીઆઈ અને પીડિતોના પરિવારો દ્વારા મુક્તિ સામે દાખલ કરાયેલી તમામ અપીલોને સુપ્રીમ કોર્ટે જુલાઈ ૨૦૨૪માં ફગાવી દીધી હતી. જોકે કોલી આ એક કેસમાં હાઇકોર્ટ દ્વારા આજીવન કેદની સજા મળવાને કારણે જેલમાં જ રહ્યો હતો.
આખરે, કોલીની કર્વેટિવ પિટિશનને મંજૂરી મળતાં, સુપ્રીમ કોર્ટે તેના આજીવન કેદની સજાને પણ રદ કરી. આ કેસમાં પોલીસ દ્વારા કુલ ૧૯ FIR નોંધવામાં આવી હતી.