Last Updated on by Sampurna Samachar
કૂતરાઓને કોઈ પણ પરિસ્થિતિમાં પાછા છોડવામાં આવશે નહીં
લોકોની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રખડતાં કૂતરાઓના હુમલાઓના કેસ મામલે સુઓમોટો અરજી પર સુનાવણી બાદ સરકાર, MCD અને NDMC ને તાત્કાલિક ધોરણે તમામ રખડતાં કૂતરાઓને પકડવા આદેશ આપ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે કૂતરાઓને પકડી તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે આ કેસમાં કોઈ ભાવનાઓ માટે જગ્યા નથી કારણ કે લોકોની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. પકડવામાં આવેલા કૂતરાઓને કોઈ પણ પરિસ્થિતિમાં પાછા છોડવામાં આવશે નહીં. કોર્ટે આઠ સપ્તાહની અંદર આશરે ૫ હજાર કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
કૂતરા માટે શેલ્ટર હોમ બનાવવાનો આદેશ
કૂતરાઓની ફરિયાદ ફરિયાદ કરવા માટે એક સપ્તાહમાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૂતરા કરડવાની ફરિયાદ મળે તેના ચાર કલાકમાં તે કૂતરાને પકડી લેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
આટલું જ નહીં કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કે સંગઠન આ નિર્દેશોનું પાલન કરવામાં અવરોધ ઊભા કરશે તો તે કોર્ટની અવમાનના માનવામાં આવશે.આ ઉપરાંત પકડાયેલા કૂતરાઓને કોઈ પણ સંજોગમાં પરત નહીં છોડાય, ૮ સપ્તાહની અંદર ૫ હજાર કૂતરા માટે શેલ્ટર હોમ બનાવવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.