Last Updated on by Sampurna Samachar
ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખાસ સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે બાગાયત પાક તરફ વધુ વળ્યા છે. ખાસ કરીને શાકભાજીનું વાવેતર કરીને ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. બજારમાં શાકભાજીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે અને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની પ્રવૃત્તિમાં પણ વધારો થયો છે.

હાલમાં હાઈબ્રિડ બિયારણના ઉપયોગથી ઉત્પાદન ક્ષમતા વધી છે, જેના કારણે ખેડૂતોને ઓછા સમયમાં વધુ પાક મળે છે. આ બિયારણો રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોવાથી પાકની ગુણવત્તા પણ સારી રહે છે. પરિણામે બજારમાં સારી કિંમત મળવાથી ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળી રહી છે.
નોંધણી કરવાની છેલ્લી તારીખ ૨૭ એપ્રિલ
બાગાયત વિભાગના અધિકારી કે.એમ. કરમુરએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં બાગાયત પાકનો વ્યાપ સતત વધી રહ્યો છે અને અમરેલી જિલ્લામાં પણ ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સબસિડી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
ખાસ કરીને હાઈબ્રિડ શાકભાજી બિયારણ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ ૧૫ પ્રકારના શાકભાજી પાકોને આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા ૬૦,૦૦૦ના યુનિટ કોસ્ટ સામે રૂપિયા ૨૪,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે અને વધુ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આકર્ષિત કરી રહી છે.
ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન નોંધણી કરવાની રહેશે. બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા સબસિડી માટેનો પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને આધુનિક બિયારણ અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે, જેના કારણે ઉત્પાદન વધે છે અને આવકમાં વધારો થાય છે. અમરેલી જિલ્લામાં બાગાયત પાકનો વિકાસ ખેડૂતોના જીવનસ્તરને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.