Last Updated on by Sampurna Samachar
નગર નિગમે ૧૫ દિવસ પહેલા આપી હતી નોટિસ
રાતના સમયે વીજળી જવાથી ભીડે ફાયદો ઉઠાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલી દ્વારકાના કાઠે ગલી વિસ્તારમાં એક દરગાહના નિર્માણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમ્યાન નગર નિગમ આ ગેરકાયદેસર ધાર્મિક સ્થળ પાડવા જઈ રહ્યું હતું. તેને લઈને આ વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી હતી.

નગર નિગમે ૧૫ દિવસ પહેલા નોટિસ પણ આપી હતી અને કહ્યું હતું કે, આ ધાર્મિક સ્થલ અનધિકૃત છે. ૧૫ દિવસની અંદર દબાણ હટાવી લો, નહીંતર નગર નિગમ કાર્યવાહી કરશે. તો વળી આજુબાજુના વિસ્તારમાં ભારે હોબાળો થયો. રાતના સમયે વીજળી જવાથી ભીડે ફાયદો ઉઠાવ્યો અને ગેરકાયદેસર દરગાહને હટાવવા ગયેલી નગર નિગમની ટીમ તથા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
૫૦૦ પોલીસ કર્મીઓ સામે ૪૦૦ લોકોની ભીડ
આ પથ્થરમારામાં ૪ અધિકારી અને ૧૧ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. પાંચ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. વિસ્તારની વિવાદિત ધાર્મિક દરગાહને લઈને અફવા ફેલાવવાથી તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ. રાતના સમયે ૫૦૦ પોલીસકર્મી તૈનાત હતા અને ભીડમાં ૪૦૦ થી વધારે લોકો હતા. ભીડ દ્વારા પથ્થરમારો કર્યા બાદ પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
૨૨ ફેબ્રુઆરીના રોજ પણ મહાનગરપાલિકાએ અનધિકૃત ધાર્મિક સ્થળો પરથી અતિક્રમણ દૂર કર્યું હતું. આ પછી કોર્ટે ચુકાદો આપ્યો કે સમગ્ર ધાર્મિક સ્થળ અનધિકૃત છે, અતિક્રમણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧ એપ્રિલના રોજ ગેરકાયદેસર દરગાહને નોટિસ ફટકારી હતી. નાસિક પોલીસે આ વિસ્તારમાં ટ્રાફિક રૂટ પણ બદલી નાખ્યો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ફેબ્રુઆરીમાં સમગ્ર હિન્દુ સમાજે માંગ કરી હતી કે આ કથિત ગેરકાયદેસર ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવે અને તે જગ્યાએ બજરંગ બલીનું મંદિર બનાવવામાં આવે. આ અંગે, હિન્દુ કાર્યકરોએ એક મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ વાતની જાણ થતાં જ ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસે કેટલાક સાધુઓ અને સંતોની ધરપકડ પણ કરી હતી.