Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પનો ટેરિફ ખેલ ટ્રમ્પ પર જ ભારે
૩૦ વર્ષથી બંને દેશોના પ્રયાસોને નબળો પાડવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કામો ભારત સાથેના ભાગીદારીને ખતમ કરી રહ્યા છે. ટ્રમ્પના અહંકારને વિશ્વના સૌથી મોટા લોકશાહી સાથેના “વ્યૂહાત્મક સંબંધો”ને ખરાબ કરવાની મંજૂરી આપી શકાય નહીં. આ નિવેદનો એક વરિષ્ઠ યુએસ સાંસદ અને બે ભૂતપૂર્વ ટોચના યુએસ અધિકારીઓના છે.
યુએસ-ઇન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, ભારતીય-અમેરિકન કોંગ્રેસી રો ખન્નાએ કહ્યું કે તેઓ યુએસ-ભારત ભાગીદારીને “ખતમ” કરવાના ટ્રમ્પના પ્રયાસો પર ચેતવણી આપી રહ્યા છે. ખન્નાએ ટ્રમ્પ પર યુએસ-ભારત જોડાણને મજબૂત બનાવવા માટે ૩૦ વર્ષથી બંને દેશોના પ્રયાસોને નબળો પાડવાનો આરોપ લગાવ્યો.
ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડ્યું
ખન્નાએ વધુમાં કહ્યું કે ટ્રમ્પની નીતિઓ “ભારતને ચીન અને રશિયા તરફ ધકેલી રહી છે”, એક વલણ જે અમેરિકા માટે વ્યૂહાત્મક આંચકો છે. તેમણે કહ્યું કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ બ્રાઝિલ સિવાયના કોઈપણ દેશ કરતા વધારે છે અને ચીન પર લાદવામાં આવેલા ટેરિફ કરતા પણ વધારે છે, જે રશિયન ઊર્જાનો સૌથી મોટો ખરીદનાર છે.
રો ખન્નાએ આ વિવાદના મૂળ કારણ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે તેના કારણો ખૂબ જ સ્પષ્ટ છે. ખન્નાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પને નોમિનેટ કરવાનો ઇનકાર કરવાથી બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. જ્યારે પાકિસ્તાને ટ્રમ્પને સમર્થન કર્યું હતું.
અમેરિકન રાજદ્વારીમાં પ્રભાવશાળી અવાજ તરીકે ઉભરી આવેલા રો ખન્નાએ ઇસ્લામાબાદના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો. જેમાં ટ્રમ્પને આ વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના સંઘર્ષને સમાપ્ત કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. જોકે, ભારતે કહ્યું કે પાકિસ્તાન સાથેનો સરહદ વિવાદ આંતરિક બાબત છે અને તેણે ટ્રમ્પને કોઈ શ્રેય આપ્યો નથી.
ખન્નાએ કહ્યું, “અમે ડોનાલ્ડ ટ્રમ્પના અહંકારને ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધોને નષ્ટ કરવાની મંજૂરી આપી શકતા નથી જે ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે કે વિશ્વનું નેતૃત્વ અમેરિકા દ્વારા થાય છે, ચીન દ્વારા નહીં.” ભારતીય અમેરિકનોને સંબોધતા રો ખન્નાએ કહ્યું કે જેમણે ટ્રમ્પને મત આપ્યો છે, હું આજે તેમને પૂછી રહ્યો છું કે જ્યારે ટ્રમ્પ આ સંબંધ સમાપ્ત કરી રહ્યા છે ત્યારે તમે ક્યાં છો.
ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ અને રશિયન તેલની ખરીદીને લક્ષ્ય બનાવતા પગલાંની અન્ય અમેરિકન રણનીતિકારો દ્વારા પણ આકરી ટીકા કરવામાં આવી છે. આમાં વ્હાઇટ હાઉસ વહીવટીતંત્રમાં સેવા આપી ચૂકેલા અધિકારીઓનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને સોમવારે કહ્યું હતું કે ટ્રમ્પે “ભારત સાથેના સંબંધોને બાજુ પર રાખ્યા છે” કારણ કે પાકિસ્તાન તેમના પરિવાર સાથે વ્યવસાયિક સોદા કરવા તૈયાર છે. તેમણે આ પગલાને અમેરિકા માટે “મોટા વ્યૂહાત્મક નુકસાન” તરીકે વર્ણવ્યું હતું.
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં તરીકે સેવા આપી ચૂકેલા જાેન બોલ્ટને કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પશ્ચિમી દેશો દ્વારા ભારતને રશિયાથી દૂર રાખવા અને ચીન દ્વારા ઉભા થયેલા ખતરા વિશે ચેતવણી આપવાના દાયકાઓના પ્રયાસોને “ખતમ” કર્યા છે. બોલ્ટને કહ્યું કે ટ્રમ્પ તેને અમેરિકા માટે મહાન કહે છે પરંતુ તે આપત્તિ છે.
ન્યૂ યોર્કમાં સ્કૂલ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ ખાતે સેન્ટર ફોર ગ્લોબલ અફેર્સના વિશ્લેષક એડવર્ડ પ્રાઈસ કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અર્થશાસ્ત્રની કોઈ સમજ નથી. હાલના સમયે ભારત સાથે મુકાબલો કરવાની કોઈ જરૂર નહોતી. તેમણે કહ્યું, “મને લાગતું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અર્થશાસ્ત્રની ખૂબ ઓછી સમજ છે અને હવે મને સમજાયું છે કે હું ખોટો હતો.
હકીકતમાં યુએસ પ્રમુખને અર્થશાસ્ત્રની કોઈ સમજ જ નથી, ભારત પ્રત્યેના તેમના વર્તનને જોતાં… ખાસ કરીને વર્તમાન સમયમાં, અમેરિકા અને ભારત વચ્ચે આવા મુકાબલાનું કોઈ કારણ નથી. તે જરૂરી નહોતું અને તે સંપૂર્ણપણે અમેરિકા કરી રહ્યું હતું.”
એડવર્ડ પ્રાઇસે કહ્યું કે ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે. કાં તો તેઓ અમેરિકન રાષ્ટ્રીય હિતને સમજી શકતા નથી અથવા તેઓ સક્રિય રીતે તેની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.