Last Updated on by Sampurna Samachar
ડેથ ઓવર્સમાં ઘાતક બોલિંગ કરતો પથિરાણા KKRમાં એન્ટ્રી કરવા તૈયાર
૨૫.૨૦ કરોડમાં ખરીદાયેલા કેમેરોન ગ્રીન હજુ સુધી ફોર્મમાં આવ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આઈપીએલ ૨૦૨૬માં સતત હારનો સામનો કરી રહેલી ત્રણ વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આખરે સારા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર શ્રીલંકન ફાસ્ટ બોલર મથીશા પથિરાનાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તેમને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (જીન્ઝ્ર) તરફથી NOC પણ મળી ગયું છે.

KKR અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. ૪માંથી ૩ મેચમાં હાર અને એક મેચ વરસાદમાં ધોવાઈ જતાં ટીમના ફાળે માત્ર ૧ પોઈન્ટ છે. KKR ની મુખ્ય નબળાઈ ડેથ ઓવર્સમાં રન રોકવાની હતી. જો કે બ્રહ્માસ્ત્રની વાપસી થઇ ચુકી છે. પથિરાના પોતાની સચોટ યોર્કર અને સ્લોઅર બોલ માટે જાણીતો છે. તેની વાપસીથી KKR ની બોલિંગ લાઇનઅપ મજબૂત બનશે.
૧૮ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ખર્ચીને ખરીદ્યો
રિપોર્ટ્સ મુજબ, પથિરાના ચેન્નઈમાં ટીમ સાથે જોડાઈ જશે. મંગળવારે ૧૪ એપ્રિલ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ચેપોક સ્ટેડિયમમાં KKR ની ટક્કર થવાની છે. પથિરાના અગાઉ CSK તરફથી રમી ચૂક્યા છે, તેથી તેમને ચેપોકની પિચનો સારો અનુભવ છે, જે KKR માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
KKR એ હરાજીમાં પથિરાનાને ૧૮ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ખર્ચીને ખરીદ્યો હતો. જો કે, T ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈજાગ્રસ્ત થતા તેના રમવા પર સવાલો ઉઠ્યા હતા. હવે તેઓ સંપૂર્ણ ફિટ હોવાથી ફેન્સમાં ખુશીનો માહોલ છે. કેપ્ટન અજિંક્ય રહાણેની રણનીતિઓ પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ૨૫.૨૦ કરોડમાં ખરીદાયેલા કેમેરોન ગ્રીન હજુ સુધી ફોર્મમાં આવ્યા નથી. હર્ષિત રાણા અને આકાશ દીપ જેવા બોલરો પહેલેથી જ બહાર હોવાથી પથિરાના પર ટીમની જીતનો મોટો દારૂમદાર રહેશે.