Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રીએ મૃતક બાળકોના પરિજનોને રૂ. ૪ લાખનું વળતર આપશે
IMA એ વિરોધ કરી અનિશ્ચિતકાળ માટે હડતાળની ચીમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે મોતનો સિલસિલો ચાલુ છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં વધુ એક બાળકે કિડની ફેઈલ થતાં દમ તોડ્યો છે. છિંદવાડામાં કફ સિરપના કારણે કિડની ફેઈલ થતાં અત્યારસુધીમાં ૧૫ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ કેસમાં એક ડોક્ટરને આરોપી બનાવવામાં આવ્યા છે, જેનો IMA એ વિરોધ કર્યો છે.

પોલીસે આ મામલે પરાસિયાના બાળ રોગ નિષ્ણાત ડો. પ્રવીણ સોની વિરૂદ્ધ કેસ નોંધી ધરપકડ કરી છે. IMA એ આ ધરપકડનો ભારે વિરોધ કર્યો છે. એસોસિએશને તાત્કાલિક ધોરણે ડો. સોનીને મુક્ત કરવાની માંગ સાથે ઈમરજન્સી સેવાઓ બંધ કરી અનિશ્ચિતકાળ માટે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.
૧૨ સભ્યોની SIT એ તપાસ હાથ ધરી
એસોસિએશનનું કહેવું છે કે, કફ સિરપના કારણે બાળકોના મોત મામલે એક જ ડોક્ટરને આરોપી તરીકે રજૂ કરવા યોગ્ય નથી. તે તદ્દન ન્યાયની વિરૂદ્ધમાં છે. કોઈપણ પુરાવા કે તથ્યો વિના ડોક્ટરને આરોપી બનાવી અડધી રાત્રે ધરપકડ કરવી યોગ્ય નથી. દવામાં કોઈપણ ખરાબી હોય તો તેની જવાબદારી દવા બનાવનારી કંપની, કેન્દ્રીય અને રાજ્ય ડ્રગ કંટ્રોલર બોડી તથા ડ્રગ ઈન્સ્પેક્ટરની હોય છે. આ તમામ વિરૂદ્ધ કેસ નોંધવાના બદલે એક જ ડોક્ટરને આરોપી બનાવવામાં આવ્યા છે.
વધુમાં IMA એ ચીમકી આપી હતી કે, અમારી વહીવટી તંત્ર સમક્ષ માગ છે કે, અમારા ડોક્ટરને તાત્કાલિક ધોરણે મુક્ત કરો. નહીં તો અમે કાળી પટ્ટી બાંધી કામ કરીશું અને ૨૪ કલાક બાદથી ઈમરજન્સી સેવાઓ છોડી તમામ પ્રકારની મેડિકલ સેવાઓ બંધ કરતાં અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર ઉતરીશું.
મધ્યપ્રદેશમાં કફ સિરપના કારણે મોતનો કેસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવ્યો છે. પોલીસે કોલ્ડરિફ કફ સિરપ બનાવતી કંપની વિરૂદ્ધ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મૃતક બાળકોના પરિજનોને રૂ. ૪ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે કોલ્ફરિફ કફ સિરિપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કફ સિરપ બનાવતી તમિલનાડુની સ્રેસન ફાર્માસ્યુટિકલ્સના દવાના નમૂના લેવામાં આવ્યા છે, તેમાં ટોક્સિક તત્ત્વ વધુ પ્રમાણમાં મળી આવ્યું હતું. સબ ડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ જિતેન્દ્ર સિંહ જાટના નેતૃત્વ હેઠળ ૧૨ સભ્યોની SIT એ તપાસ હાથ ધરી છે.