Last Updated on by Sampurna Samachar
ગાંધી પરિવારે ૨૦૨૪ માં મારી સામે લડવાનો ઇનકાર કર્યો હતો
૨૦૧૯ માં, મેં અશક્યને શક્ય બનાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે અનુકૂળ પરિસ્થિતિઓને કારણે કેરળના વાયનાડથી ચૂંટણી લડવાનો ર્નિણય લીધો હતો. સ્મૃતિ ઈરાનીએ ૨૦૧૯માં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા, પરંતુ ૨૦૨૪માં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યું કે તેઓ હવે રાહુલ ગાંધી પ્રત્યે આક્રમક કેમ નથી, ત્યારે તેમણે કહ્યું, કારણ કે ગાંધી પરિવારે ૨૦૨૪ માં મારી સામે લડવાનો ઇનકાર કર્યો હતો. ૨૦૨૪માં અમેઠીથી ચૂંટણી ન લડવાના રાહુલ ગાંધીના ર્નિણય પછી, કોઈ રાજકીય યુદ્ધ બાકી નથી. જો તેઓ યુદ્ધના મેદાનમાં પગ પણ નથી મુકી રહ્યા, તો હું શું કહી શકું ? હું તેમની પાછળ ન પડી શકું.
હું ત્રણ વખત સંસદ સભ્ય રહી ચૂકી છું
પૂર્વ સાંસદે કહ્યું કે, આપણે રાજકીય ઇતિહાસ વાંચ્યો છે, ઘણા મોટા નામો અમેઠીથી ચૂંટણી લડ્યા છે અને હારી ગયા છે. શરદ યાદવ અને મેનકા ગાંધી જેવા પ્રખ્યાત નેતાઓ પણ ત્યાંથી હારી ગયા છે. ગાંધી પરિવારે અમેઠી જેવી બેઠક પસંદ કરી કારણ કે ત્યાંનું સામાજિક સમીકરણ તેમના પક્ષમાં હતું. આવી સ્થિતિમાં, કોઈ પણ સમજદાર નેતા એવી બેઠક પસંદ કરશે નહીં જ્યાં હાર નિશ્ચિત હોય. જો કોઈને આવી બેઠક આપવામાં આવે છે, તો તે પક્ષની જવાબદારી હેઠળ તેને સ્વીકારે છે. ૨૦૧૯ માં, મેં અશક્યને શક્ય બનાવી દીધું.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ૨૦૧૪માં અમેઠીથી ચૂંટણી હારી ગયા હોવા છતાં, તેમણે ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી ત્યાં ઘણું કામ કર્યું. તેથી જ લોકોને લાગ્યું કે તેમને તક આપવી જોઈએ. જો લોકો કહેતા કે મેં અમેઠી માટે કામ નથી કર્યું, તો તે વધુ નુકસાન પહોંચાડત. પરંતુ આજે ચર્ચા થાય છે કે મેં ત્યાં ઘણું કામ કર્યું છે. હું અમેઠીમાં રહી, ઘરે ઘરે, ગામડે ગામડે, શેરીએ શેરીએ ગઈ, ગટર સાફ કરાવી, ગામમાં વીજળી પહોંચાડી, એક લાખ ઘરો બનાવ્યા, મેડિકલ કોલેજ બનાવી.
જ્યારે સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યું કે, અમેઠીના લોકોએ તેમને કેમ જીત અપાવી નહીં, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કામ અને રાજકીય સમીકરણમાં તફાવત છે. ફક્ત રાજકારણમાં રહેલા લોકો જ આ વાત સમજે છે. રાજકારણનો રાષ્ટ્રીય રાજકારણ સાથે કોઈ સંબંધ નથી, હું રાષ્ટ્રીય રાજકારણમાં સામેલ છું.
સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટતા કરી કે ટીવી પર પાછા ફરવાનો અર્થ એ નથી કે હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહી છું. ૪૯ વર્ષની ઉંમરે કોણ નિવૃત્તિ લે છે ? મોટાભાગના લોકોની કારકિર્દી ૪૯ વર્ષની ઉંમરે શરૂ થાય છે અને હું ત્રણ વખત સંસદ સભ્ય રહી ચૂકી છું.