Last Updated on by Sampurna Samachar
કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મતભેદો
કોચ્ચિમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થરૂરનુ અપમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોચ્ચિમાં રાહુલ ગાંધીની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમમાં થયેલા કથિત અપમાનથી નારાજ થઈને તેમણે આ ર્નિણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીની કોચ્ચિ મુલાકાત દરમિયાન યોગ્ય સન્માન ન મળવાને કારણે શશી થરૂર નારાજ છે. કોચ્ચિમાં કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિની મહાપંચાયત યોજાઈ હતી, જોકે આ નારાજગી અંગે થરૂરે જાહેરમાં હજુ સુધી કંઈ પણ કહ્યું નથી.
હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી
ચર્ચા એવી છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોવા છતાં કાર્યક્રમમાં તેમને સ્ટેજ પર મુખ્ય જગ્યા આપવાને બદલે ઘણે દૂર બેસાડવામાં આવ્યા હતા. તેમજ થરૂરને પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિગતવાર બોલશે અને બાકીના નેતાઓએ ટૂંકમાં પોતાની વાત પતાવવી પડશે. આ સૂચનાનું પાલન કરીને થરૂરે પોતાનું સંબોધન જલ્દી પૂરું કરી દીધું હતું.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ કાર્યક્રમમાં હાજર ઘણા નેતાઓના નામ લીધા હતા, પરંતુ થરૂરનું નામ લેવાનું ટાળ્યું હતું. જેનાથી તેમની નારાજગી વધુ વધી ગઈ. સૂત્રોનું કહેવું છે કે આ જ કારણોસર હવે થરૂરે કોંગ્રેસની બેઠકોમાં ન જવાનો ર્નિણય લીધો છે.
શશી થરૂરે પોતાના નજીકના સાથીઓ સમક્ષ પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ પાર્ટીમાં તેમના યોગદાનને સતત નજરઅંદાજ કરવાના એક મોટા પેટર્નનો ભાગ છે. આ ઘટનાથી પાર્ટી કાર્યકર્તાઓમાં પણ વરિષ્ઠ નેતાઓના સન્માન અને આંતરિક અનુશાસનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભલે શશી થરૂર કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં સામેલ નહીં થાય, પરંતુ તેઓ આજે કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેશે.
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ શશી થરૂરની કથિત નારાજગી કે તેમના બેઠકમાં સામેલ ન થવાના ર્નિણય પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.