Last Updated on by Sampurna Samachar
આગામી ચૂંટણી માટે આ પ્રકારનું રાજકારણ રમી રહ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
NCP ના સ્થાપક શરદ પવાર ઈવીએમ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોલાપુરના મર્કરવાડીમાં ઈવીએમ મત વિરૂદ્ધ ચાલી રહેલી મોક-પોલમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાંના લોકોએ બેલેટ પેપરથી મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ખાતરી હતી કે, NCP ના ઉમેદવારને ઈવીએમ કરતાં વધુ મત મળી શકે છે. પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા. અને આમ કરનારાઓની ધરપકડ કરી હતી.
શરદ પવારે મર્કરવાડીમાં પહોંચી કહ્યું કે, ‘છેલ્લા બે-ત્રણ દિવસથી જોઈ રહ્યો છું કે, સંસદમાં મર્કરવાડીની ચર્ચા શરૂ થઈ છે. લોકો દલીલ કરી રહ્યા છે કે, દેશમાં કોઈને પણ આ અંગે જાણ થઈ નથી. પરંતુ મર્કરવાડીના લોકોને ખબર પડી ગઈ છે કે, EVM માં ચેડાં થાય છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં બેલેટ પેપર વડે મતદાન થાય છે.’
શરદ પવારે વધુમાં કહ્યું કે, ‘આખી દુનિયા બેલેટ પેપર દ્વારા મતદાન કરી રહી છે, પરંતુ આપણે શા માટે EVM નો ઉપયોગ કરી રહ્યા છીએ. આ મતદાન પછી તમને શંકા ગઈ અને ગામમાં ફરી મતદાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને અટકાવી દીધો. હું ઈવીએમ પર ભાષણ આપું ત્યારે મને પણ રોકી દેવામાં આવે છે, આ કેવા પ્રકારની વાત છે? મને કંઈ સમજાતુ નથી.’
પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ EVM વિવાદ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે લોકસભાની ચૂંટણીમાં અમારી બેઠકો ઓછી થઈ ત્યારે અમે કહ્યું નહોતું કે EVM માં સમસ્યા છે. આ લોકોએ EVM નો મુદ્દો છોડી દેવો જોઈએ. ચૂંટણી હાર્યા પછી આ પ્રકારની વાત ન કરવી જોઈએ. આનાથી લોકોનો વિશ્વાસ ડગમગે છે. વિપક્ષે ર્નિણય સ્વીકારવો જોઈએ.’
શરદ પવારના નિવેદન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રેશ બાવનકુલેએ કહ્યું કે ‘શરદ પવારે પોતાની હાર સ્વીકારવી જોઈએ. તેમનું અભિયાન નિષ્ફળ ગયું છે. લોકોએ તેમને નકાર્યા છે. તેઓ લોકસભા ચૂંટણી જીત્યા અને અમે તે સ્વીકાર્યું હતું.. તેઓ આગામી ચૂંટણી માટે આ પ્રકારનું રાજકારણ રમી રહ્યા છે. પણ તેઓ સ્થાનિક ચૂંટણીમાં પણ હારશે.’: પવાર