Last Updated on by Sampurna Samachar
જામનગરમાં કોંગ્રેસ યુવક દ્વારા જાહેર વિરોધ પ્રદર્શનનું આયોજન
કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત માધ મેળા દરમિયાન સ્નાન સમયે સાધુ-સંતો સાથે થયેલા અપમાનજનક વર્તનના ગંભીર આરોપોના વિરોધમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા જાહેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ લગાવી યુવક કોંગ્રેસે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.

આ વિરોધના ભાગરૂપે જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે રસ્તા રોકો આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં પોસ્ટરો પકડી નારેબાજી કરી અને સાધુ-સંતોના સન્માન માટે અવાજ ઉઠાવ્યો હતો. રસ્તા રોકો આંદોલનના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેના પગલે પોલીસ તંત્ર સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
કુલ ૧૯ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી
યુવક કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ આંદોલનમાં સરકાર પર કડક આક્ષેપો કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર સાધુ-સંતો સાથે અપમાનજનક વર્તન થવા દે છે અને આ સમગ્ર મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. કોંગ્રેસનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ દેશની ધાર્મિક પરંપરા અને આસ્થાને આઘાત પહોંચાડે છે.
આંદોલન દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે પોલીસે કાર્યવાહી કરી અને કુલ ૧૯ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે, થોડીવાર બાદ તમામ કાર્યકરોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. યુવક કોંગ્રેસે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો સાધુ-સંતોના સન્માન અને સુરક્ષા અંગે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.