Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં ભાજપનો જનાધાર ઊભો કરવામાં મોટી ભૂમિકા
૯૩ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન થયું છે. તેઓ દિલ્હી ભાજપના પહેલા પ્રદેશ અધ્યક્ષ હતા અને દિલ્હીમાંથી પાંચ વખત સાંસદ (લોકસભા સભ્ય) તેમજ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું ૩૦ સપ્ટેમ્બર, મંગળવારની સવારે નિધન થયું. એઈમ્સ દિલ્હીએ પ્રેસ રિલીઝ કરીને આ સમાચારની પુષ્ટિ કરી. એઈમ્સે જણાવ્યું કે તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ૯૩ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા.
દક્ષિણ દિલ્હી બેઠક પર સૌથી મોટી રાજકીય જીત મેળવી હતી
વિજય કુમાર મલ્હોત્રાનો જન્મ ૩ ડિસેમ્બર, ૧૯૩૧ના રોજ અખંડ ભારતના લાહોર (હવે પાકિસ્તાન)માં થયો હતો. ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવ્યો અને તેમણે દિલ્હીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આગળ જતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પી.એચ.ડી.ની પદવી મેળવી. તેઓ વિદ્યાર્થી જીવનથી જ અભ્યાસ, સાહિત્ય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા.
વિજય કુમાર મલ્હોત્રાએ રાજકારણની શરૂઆત જનસંઘથી કરી હતી. તેઓ દિલ્હી જનસંઘના અધ્યક્ષ રહ્યા અને ૧૯૮૦માં ભાજપની રચના થયા પછી પાર્ટીના પ્રથમ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બન્યા. તેમની ઓળખ સંગઠનને સારી રીતે ચલાવનાર નેતા તરીકેની હતી. દિલ્હીમાં ભાજપનો જનાધાર ઊભો કરવામાં તેમની મોટી ભૂમિકા રહી.
વિજય કુમાર મલ્હોત્રા પોતાના લાંબા કરિયરમાં પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય બન્યા. ૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી બેઠક પરથી તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને મોટા માર્જિનથી હરાવ્યા હતા, જે તેમની સૌથી મોટી રાજકીય જીત ગણાય છે.
વિજય કુમાર મલ્હોત્રાની ગણતરી હંમેશા સ્વચ્છ અને સાદગીપૂર્ણ છબીવાળા નેતાઓમાં થતી રહી. રાજકારણ ઉપરાંત, તેઓ ખેલ જગત સાથે પણ જાેડાયેલા હતા. તેમણે દિલ્હીમાં ચેસ અને તીરંદાજી (આર્ચરી) સંઘોને મજબૂત કર્યા અને એક સારા ખેલ પ્રશાસક તરીકે પણ પોતાની ઓળખ બનાવી.
વિજય કુમારનું નામ રાજકારણમાં ભાગ્યે જ ક્યારેય વિવાદો સાથે જોડાયું. તેમણે હંમેશા સંગઠન અને જનતા વચ્ચે સેતુનું કામ કર્યું. ભાજપ કાર્યકર્તાઓ માટે તેઓ ઈમાનદારી અને સમર્પણનું ઉદાહરણ બની રહ્યા.
વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીમાં તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પુત્ર, પુત્રી અને પૌત્રો-પૌત્રીઓ છે. અંગત જીવનમાં તેઓ ખૂબ જ સાદગી પસંદ અને પારિવારિક વ્યક્તિ માનવામાં આવતા હતા.