Last Updated on by Sampurna Samachar
મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડતા અફરા તફરીનો માહોલ
ખામીનું કારણ અને એરપોર્ટની એડવાઇઝરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટેક્નિકલ સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર લગભગ ૩૦૦ થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેનાથી દેશભરના હવાઈ વ્યવહાર પર મોટી અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ATC સિસ્ટમમાં આવેલી આ સમસ્યાનું કારણ ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, ‘ ATC સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા DIAL સહિત તમામ હિતધારકો સક્રિય છે.
ATC સમસ્યાના કારણે તેમની ફ્લાઇટ્સ મોડી પડી
મુસાફરોને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીને તેમની ફ્લાઇટની સ્થિતિ જાણવા માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, ટેક્નિકલ ટીમો શક્ય તેટલી ઝડપથી સિસ્ટમને પુન:સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.
ઇન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને અકાસા એર સહિતની તમામ એરલાઇન્સે પુષ્ટિ કરી હતી કે, ATC સમસ્યાના કારણે તેમની ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. સ્પાઇસજેટે મુસાફરોને વિશેષ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં ATC ની ભીડના કારણે તમામ આગમન, પ્રસ્થાન અને તેના પછીની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. એર ઇન્ડિયાએ પણ જણાવ્યું કે, આ ટેક્નિકલ સમસ્યાને કારણે મુસાફરોને એરપોર્ટ પર અને વિમાનમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.