Last Updated on by Sampurna Samachar
વિરાટ અને રોહિત ભારતીય બેટિંગ લાઈનઅપ કરોડરજ્જુ
હું ખુશ છું કે રોહિત શર્મા જેવા ખેલાડીએ આ રેકોર્ડ તોડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્તમાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીનો મેદાન અને મેદાનની બહાર ૩૬નો આંકડો રહ્યો છે. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે વિરાટ કોહલી અને રોહિત શર્માના બહાને ગંભીરની ટીકા કરી છે. આફ્રિદીએ કહ્યું કે, ગૌતમ ગંભીર કોચ તરીકે જે કરી રહ્યા છે તે દર્શાવે છે કે તમે હંમેશા સાચા નથી હોતા. સૌથી વધુ છગ્ગા ફટકારવાનો તેનો રેકોર્ડ તૂટવા અંગે આફ્રિદીએ કહ્યું કે, હું ખુશ છું કે રોહિત શર્મા જેવા ખેલાડીએ આ રેકોર્ડ તોડ્યો.

શાહીદ આફ્રિદીએ કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય બેટિંગ લાઈનઅપની કરોડરજ્જુ છે અને ટીમે તેમને ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી રમાડવા જોઈએ. આફ્રિદીએ આગળ કહ્યું કે, એ તથ્ય છે કે વિરાટ અને રોહિત ભારતીય બેટિંગ લાઈનઅપ કરોડરજ્જુ છે. અને જે રીતે તેમણે તાજેતરની વન-ડે સીરિઝમાં પ્રદર્શન કર્યું તે જોઈને વિશ્વાસ સાથે કહી શકાય કે, તેઓ ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી રમી શકે છે.
રોહિત શર્માએ આફ્રિદીનો સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડ્યો
ગૌતમ ગંભીરની ટીકા કરતા આફ્રિદીએ કહ્યું કે, ગૌતમે જે રીતે પોતાનો કાર્યકાળ શરૂ કર્યો, તે જોતાં એવું લાગે છે કે તેમણે વિચાર્યું હતું કે, તે જે વિચારે છે અને કહે છે તે જ સાચું છે. પરંતુ થોડા જ સમયમાં એ સાબિત થઈ ગયું કે તમે હંમેશા સાચા નથી હોતા.
રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં શાહીદ આફ્રિદીનો સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આફ્રિદીએ વન-ડેમાં ૩૫૧ છગ્ગા ફટકાર્યા હતા અને હવે હિટમેનના નામે ૩૫૫ છગ્ગા છે. વન-ડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો પોતાનો રેકોર્ડ તૂટવા અંગે આફ્રિદીએ કહ્યું કે, રેકોર્ડ તૂટવા માટે જ હોય છે અને આ પણ સારું થયું છે. મને ખુશી છે કે એક એવા ખેલાડીએ આ રેકોર્ડ તોડ્યો જેને હું હું હંમેશાથી પસંદ કરતો આવ્યો છું.
આફ્રિદીએ આગળ કહ્યું કે, સૌથી ઝડપી સદીનો મારો રેકોર્ડ લગભગ ૧૮ વર્ષ સુધી રહ્યો, પરંતુ આખરે તે પણ તૂટ્યો હતો. તેથી કોઈ એક ખેલાડી રેકોર્ડ બનાવે છે, અને બીજો ખેલાડી આવે છે અને તે રેકોર્ડ તોડે છે. આ જ તો ક્રિકેટ છે.