Last Updated on by Sampurna Samachar
રૂ.૨૦ લાખ કરોડનો ફાયદો થવાનો સરકારનો દાવો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
GST માં જાહેર કરાયેલા સુધારા ૨૨ સપ્ટેમ્બરથી અમલી બનશે. સામાન્ય પ્રજાએ હવે માત્ર ૫ ટકા અને ૧૮ ટકા જ સ્લેબ ચૂકવવો પડશે. જેમાં લકઝરી પ્રોડક્ટ્સ માટે વધારાનો ૪૦ ટકાનો સ્લેબ પણ ઉમેરવામાં આવ્યો છે. GST માં આ ઐતિહાસિક સુધારાથી કેન્દ્ર સરકારને રૂ. ૪૮ હજાર કરોડની ખોટ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પરંતુ અત્યારસુધી કોઈએ આ અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી કે, દેશના અર્થતંત્રને કેટલું નુકસાન થશે અને કેટલો લાભ.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, GST માં સુધારાથી દેશના અર્થતંત્રને મોટો લાભ થવા જઈ રહ્યો છે. GST માં સુધારો લાગુ થતાં કેન્દ્ર સરકારની તિજોરીને રૂ. ૨૦ લાખ કરોડની કમાણી થશે.
GST સુધારાથી વપરાશમાં વધારો થતાં દેશના અર્થતંત્રને વેગ મળશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ૨૦૨૫-૨૬ના બજેટમાં આવકવેરામાં રાહત આપવાની સાથે જીએસટીના દરોને સુસંગત બનાવવામાં આવ્યા છે. GST માં સુધારાને અમેરિકાના ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST માં સુધારાની તૈયારી લગભગ દોઢ વર્ષ પહેલાં શરૂ થઈ ચૂકી હતી. જે વડાપ્રધાન મોદીના સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના સ્પષ્ટ લક્ષ્યનો એક ભાગ હતો.
નવી GST વ્યવસ્થા દેશની પરિવર્તન યાત્રાની શરૂઆતનું પ્રતીક બનશે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને આ સુધારા સાથે કોઈ લેવાદેવા નથી. સૌથી મોટો સવાલ એ છે કે, અંતે આ નેક્સ્ટ જનરેશન જીએસટીથી દેશના અર્થતંત્રને કેટલો ફાયદો થશે. આ અંગે માહિતી આપતાં વૈષ્ણવે જણાવ્યું કે, દેશનું અર્થતંત્ર વપરાશ પર આધારિત છે.
દેશના જીડીપીમાં વપરાશનો હિસ્સો ૬૧ ટકાથી વધુ છે. GST માં સુધારાથી વપરાશમાં વધારો થશે, જેથી દેશના અર્થતંત્રને વેગ મળશે. આજે આપણો જીડીપી આશરે ૩૩૦ લાખ કરોડનો છે. જેમાં ૨૦૨ લાખ કરોડની કમાણી વપરાશ મારફત થાય છે. જો વપરાશમાં ૧૦ ટકા પણ વૃદ્ધિ થશે, તો જીડીપીમાં રૂ. ૨૦ લાખ કરોડનો વધારો થશે.