Last Updated on by Sampurna Samachar
શિક્ષકો બાળકોના પત્ર વાંચી ચોંકી ગયા
આ મામલો જલપાઈગુડીની ફણીન્દ્ર દેબ ઈન્સ્ટિટ્યૂટનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળની એક શાળામાં શિક્ષકોએ અનોખો પ્રયાસ કર્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ એવી સમસ્યાઓ જણાવી કે શિક્ષકો પોતે ચોંકી ગયા હતા. શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમની સમસ્યાઓ લખીને લેટરબોક્સમાં મૂકવાનું જણાવ્યુ હતુ. જેમાં બાળકોએ પોતાની સમસ્યાઓ લેટરબોક્સમાં લખીને મુકી હતી. જયાં બાળકોએ પત્રોમાં એવી વાતો લખી કે જે વાંચીને શિક્ષકો પણ ચોંકી ગયા હતો. આ મામલો જલપાઈગુડીની ફણીન્દ્ર દેબ ઈન્સ્ટિટ્યૂટનો છે.

મળતી માહિતી મુજબ શિક્ષકોએ જણાવ્યું કે આ લેટરબોક્સ પ્રિન્સિપાલ ઝહરુલ ઈસ્લામ અને શિક્ષક અરિંદમ ભટ્ટાચાર્યના સંયુક્ત પ્રયાસોને કારણે લગાવવામાં આવ્યું છે. તે શાળા સત્તાવાળાઓ દ્વારા માનસિક સ્વાસ્થ્ય પહેલ હેઠળ ફેબ્રુઆરીના મધ્યમાં ફનીન્દ્ર દેબ સંસ્થા (પ્રાથમિક વિભાગ) ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ શાળામાં ૯૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
પત્રમાં કોઇ પણ બાળકે શાળા વિશે કોઇ ફરિયાદ ન કરી
મુખ્ય શિક્ષક જહરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે હોળી પહેલા ૧૨ માર્ચે પ્રથમ વખત લેટરબોક્સ ખોલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “બંગાળીમાં લગભગ ૧૦૦ નોટો લખેલી હતી. આ નોટોમાં ઘણી અંગત સમસ્યાઓ સામે આવી હતી. અમે તેમની તમામ ચિંતાઓને ગોપનીય રીતે ઉકેલવાનો પ્રયાસ કરીશું.”
આશ્ચર્યની વાત એ હતી કે એક પણ પત્રમાં શાળા વિશે કોઈ ફરિયાદ નહોતી. શિક્ષકોને ડર હતો કે બાળકો શાળા, શિક્ષકો અથવા ખોરાક વિશે ફરિયાદ કરશે, પરંતુ બાળકો મુખ્યત્વે તેમની વ્યક્તિગત સમસ્યાઓ વિશે વાત કરે છે. એક શિક્ષકે કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ રમતગમત માટે વધુ સમય ઈચ્છે છે. એક પત્રમાં લખ્યું હતું, “હું ઊંઘી શકતો નથી અને મારી માતા તેના માટે મને ઠપકો આપે છે.” અન્ય એક પત્રમાં, બાળકે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું અને લખ્યું, “મારા પિતા આસામમાં કામ કરે છે અને તેમનો બધો સમય કામ કરવા માટે ફાળવે છે.”
બીજા પત્રમાં બાળકે લખ્યું, “મારા માતા-પિતા દરરોજ લડે છે, અને મને ઘરે પાછા જવાનું પસંદ નથી.” શિક્ષકે કહ્યું કે હવે શાળા આવા બાળકોને મદદ કરવાનું વિચારી રહી છે. આ પહેલ હેઠળ, બાળકો દ્વારા લેટરબોક્સમાં લખેલી વસ્તુઓ પર કામ કરવા માટે નોડલ શિક્ષકના નેતૃત્વમાં છ-સાત શિક્ષકોની ટીમ બનાવવામાં આવી છે.