Last Updated on by Sampurna Samachar
સંસદ હુમલાના ૨૩ વર્ષ પૂર્ણ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૦૦૧ના ૧૩મી ડિસેમ્બરના રોજ સંસદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેને ૨૩ વર્ષ થઈ ગયા છે. આ હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા. દિલ્હી પોલીસ અને સંસદના સ્ટાફના નવ સભ્યોએ પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓને રોકવામાં શહીદ થયા હતા. દર વર્ષે ૧૩ ડિસેમ્બરે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
ત્યારે સંસદ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં PM મોદી સહિત દેશના તમામ નેતાઓએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદોને શ્રદ્ધાંજલિ આપતા PM મોદીએ X પર લખ્યું કે ૨૦૦૧ના સંસદ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપશે. અમે તેમની હિંમત અને સમર્પણ માટે હંમેશા આભારી રહીશું. ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ ની સવારે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ સંકુલ પર હુમલો કર્યો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. સુરક્ષા દળોએ પાંચેય આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા. લોકસભામા વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ પણ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો અને સંસદના કર્મચારીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાજલિ અર્પી હતી. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ઘનખરે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.